સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ આક્રમક રીતે તબેલાઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ રખડતા ઢોરોને પણ પકડવામાં આવી રહ્યા છે. જેને લઈને માલધારી સમાજ છેલ્લા બે ત્રણ દિવસથી ભારે રોષમાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. માલધારી સમાજ દ્વારા કોર્પોરેશન ખાતે મોરચો માંડીને વિરોધ કરાયો હતો.
આજે કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં વાહનો લઈને માલધારીઓ પહોંચ્યા હતા. મેયરને મળવા માટેનો આગ્રહ માલધારી સમાજે રાખ્યો હતો. પરંતુ મેયર કોર્પોરેશનમાં હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે માગણી કરી છે કે તાત્કાલિક અસરથી ડિમોલિશનની કાર્યવાહી બંધ કરવી જોઈએ અને જે તાબેલાઓ દૂર કરવા માટે ખોટી રીતે જે હુકમે કરવામાં આવી રહ્યો છે તેને બંધ કરવો જોઈએ.
પશુ સાથે મેયરના બંગલાનો ઘેરાવ કરીશું
માલધારીસેલના અગ્રણી કનુ દેસાઈએ જણાવ્યું કે અમે મેયરને મળવા માટે કોર્પોરેશન મોરચો લઈને આવ્યા હતા પરંતુ મેયર જાણે માલધારીઓની કોઈ ચિંતા ના કરતા હોય તેમ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ડેપ્યુટી મેયર પણ હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનરને અમારી લાગણી પહોંચાડી છે. અમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તબેલાને દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ નહીં કરવામાં આવે તો અમારા તમામ પશુઓ સાથે માલધારી સમાજ મેયરના બંગલાનો ઘેરાવો કરવા પહોંચી જશે.