-Friday World 22 Aug 2026
દેશમાં મોંઘવારીએ ફરી એકવાર સામાન્ય માણસના બજેટને હચમચાવી દીધું છે. રસોડાની સૌથી જરૂરી વસ્તુ એવી ખાંડનો ભાવ અત્યારે છૂટક બજારમાં 70 રૂપિયા પ્રતિ કિલો ને પાર કરી ગયો છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં 10 થી 12 રૂપિયાનો વધારો થયો છે. દૂધ, ચા, મીઠાઈ અને તહેવારોની સીઝનમાં ખાંડની માંગ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
આ જ મુદ્દે જ્યારે બિહારના ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમારને પત્રકારોએ સવાલ પૂછ્યો, ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે જેણે મોંઘવારીની ચર્ચાને બીજા જ ટ્રેક પર લઈ ગઈ.
મંત્રીજીનો વિચિત્ર તર્ક શું હતો?
પટનામાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું કે, "દેશમાં ખાંડ અને દૂધના ભાવ સતત વધી રહ્યા છે, ગરીબ માણસ શું કરશે?"
જવાબમાં મંત્રી શ્રવણ કુમારે હસતા હસતા કહ્યું, "ખાંડ મોંઘી થશે તો લોકો ખાંડ ઓછી ખાશે. લોકો ઓછી ખાંડ ખાશે તો ડાયાબિટીસ પણ ઘટશે. આ તો લોકોના સ્વાસ્થ્ય માટે સારું છે. મોંઘવારીના કારણે ખાંડનો ઓછો વપરાશ લાભદાયી સાબિત થશે."
મતલબ કે, તેમના મતે ખાંડ 70 રૂપિયે થવી એ સમસ્યા નથી, પણ સ્વાસ્થ્ય સુધારણાનો ઉપાય છે.
70 રૂપિયે કિલો ખાંડ : જમીની હકીકત શું છે?
હાલમાં મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતની ખાંડ મિલોમાંથી આવતી ખાંડનો જથ્થાબંધ ભાવ 58-60 રૂપિયા છે, જે છૂટકમાં 70 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. ગયા વર્ષે આ જ સમયે ખાંડ 42-45 રૂપિયા હતી.
એક સામાન્ય પરિવાર મહિને 3 થી 4 કિલો ખાંડ વાપરે છે. એટલે સીધો 80 થી 100 રૂપિયાનો વધારાનો બોજો. સાથે દૂધના ભાવ પણ 62-64 રૂપિયા લિટર થઈ ગયા છે. ચાની કિટલીવાળાથી લઈને મીઠાઈવાળા સુધી બધાએ ભાવ વધારી દીધા છે.
ગૃહિણી સુનિતાબેન કહે છે, "70 રૂપિયે ખાંડ લેવી પડે છે, તો ડાયાબિટીસ ઘટશે એમ કહીને શું અમારું બજેટ ઘટશે? મંત્રીજીને ખબર નથી કે ઘર કેમ ચાલે છે."
રાજકીય હંગામો અને વિપક્ષનો વળતો પ્રહાર
આ નિવેદનનો વીડિયો વાયરલ થતા જ વિપક્ષને બેઠો મુદ્દો મળી ગયો છે.
વિપક્ષના પ્રવક્તાએ કહ્યું, "આ સરકારની ગરીબ વિરોધી માનસિકતા છે. કાલે કહેશે પેટ્રોલ મોંઘુ થશે તો પ્રદૂષણ ઘટશે, શાળાની ફી મોંઘી થશે તો ભણતરનું ટેન્શન ઘટશે. આ કેવો તર્ક છે?"
સોશિયલ મીડિયા પર તો મીમ્સનો વરસાદ થયો છે. લોકો લખી રહ્યા છે - "દવા મોંઘી કરો તો બીમારી ઘટશે, અનાજ મોંઘુ કરો તો ભૂખ ઘટશે."
ડોક્ટરો શું કહે છે?
આરોગ્ય નિષ્ણાતો પણ આ તર્કને ખોટો ગણાવે છે. ડોક્ટરોના મતે ડાયાબિટીસ માત્ર ખાંડ ખાવાથી નથી થતો, તે જીવનશૈલી, આનુવંશિકતા અને સ્થૂળતા સાથે જોડાયેલો રોગ છે. ખાંડ મોંઘી કરવાથી ડાયાબિટીસ નહીં ઘટે, પણ ગરીબ માણસના પોષણ પર અસર પડશે.
તહેવારો પહેલા ચિંતા વધી
ગણેશ ઉત્સવ અને દિવાળી નજીક છે, ત્યારે 70 રૂપિયાની ખાંડથી મીઠાઈ ઉદ્યોગ પર પણ મોટી અસર પડશે. વેપારીઓના મતે જો ભાવ આમ જ વધશે તો મીઠાઈના ભાવમાં પણ 15% નો વધારો કરવો પડશે.
આખરે સવાલ એ જ છે કે, મોંઘવારીને સ્વાસ્થ્ય સાથે જોડીને યોગ્ય ઠેરવવી કેટલી યોગ્ય છે? 70 રૂપિયે કિલો ખાંડ ખરીદતો સામાન્ય વર્ગ આ તર્કને સ્વીકારશે કે પછી આગામી ચૂંટણીમાં જવાબ આપશે, તે સમય જ કહેશે.
Sajjadali Nayani ✍
Friday World 22 Aug 2026