નક્સલવાદની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને ફરી એકવાર એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢના બીઝાપુરમાં રવિવારે (9 ફેબ્રુઆરી) વહેલી સવારે અથડામણ દરમિયાન 31 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન 2 જવાન શહીદ થયા અને અન્ય 2 ઘાયલ છે.
વહેલી સવારે થઈ અથડામણ
મળતી માહિતી મુજબ, વીઝાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે (9 ફેબ્રુઆરી) આ અથડામણ થઈ હતી. બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે. અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ગોળીબારમાં ઘાયલ થયાં છે. આ સિવાય ઘટનાસ્થળેથી ઑટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
બસ્તર પોલીસે આપી જાણકારી
બસ્તર પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ વીઝાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલમાં થઈ હતી. રવિવારે સવારે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓની મોતની ખબર સામે આવી હતી.
થોડા દિવસો પહેલાં પણ છત્તીસગઢ, ઓડીશા સીમામાં થેયલાં અન્ય એક એનકાઉન્ટરમાં 16 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં, જેમાં 90 લાખ રૂપિયાના ઈનામી ચલપતિ પણ સામેલ હતો. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધી દેશના નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે.