અમરેલી જિલ્લામાં સિંહોના ટોરેન્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ વિસ્તારમાં સિંહ, દીપડા અને હરણનો વસવાટ હોવાથી વન વિભાગની ચિંતા વધી છે.
અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, સવારે 10થી 11 વાગ્યાના અરસામાં રાજુલાના રામપરા ગામ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં અગમ્ય કારણોસર આગ લાગી છે. આ વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતાં હોવાથી એમને કંઇ નુકસાન ન થાય એ માટે સ્થાનિક આઈએફએસ ફાતેહ મીણા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.
ઉદ્યોગોના ફાયરબ્રિગેડ દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયાસ બાવળની ઝાડીઓમા્ં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ, શ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસો કરી રહી છે.
મોટા પ્રમાણમાં સિંહ પરિવાર અહીં કરે છે વસવાટ રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ કંપનીની 1000 વીઘા કરતાં વધુ જમીન આવેલી છે, જેમાં કોઇ ઉદ્યોગ ન હોવાથી આ જમીન માત્ર પડતર છે, જેથી એમાં મહાકાય બાવળ ઊભા છે. આ બાવળની અંદર સિંહ, દીપડા અને હરણ જેવાં અનેક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં સૌથી વધુ સિંહ વસવાટ કરતાં હોવાનું વન વિભાગનું કહેવું છે, જેથી આ આગથી સિંહ સહિત કોઇપણ પ્રાણીને નુકસાન ન પહોંચે એ માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.