SOU નર્મદા નિગમની જમીન પર વર્ષોથી ચાલતી ગેરકાયદે દુકાનો સામે તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. આજે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે 34 જેટલી નાની-મોટી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી.
દુકાનદારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો. જો કે, કેટલાક દુકાનદારોએ સામાન ન હટાવતા SOU તંત્રએ તેમનો સામાન જાતે હટાવ્યો છે. SOU તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દબાણ હટાવવામાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
કામગીરી માટે 5-6 JCB મશીન અને સામાન હટાવવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે. એકતા નગર વાગડીયા ચેક પોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. SOUમાં નોકરી કરતા લોકોને જ ચકાસણી બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે. પ્રવાસીઓ, સ્થાનિકો અને પત્રકારોને પણ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
વડોદરા રેન્જના IG પણ આ ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચ્યા છે. આ કાર્યવાહી ગુજરાતભરમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધની કામગીરીનો એક ભાગ છે.