ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં મેઘરાજા સતત 48 કલાકથી બેટિંગ કરી રહ્યા છે. એવામાં ભારે પવન સાથેના વરસાદના કારણે અનેક જાનહાનિ અને માલહાનિના સમાચાર પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 21 લોકોના મોત નિપજ્યા છે, 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ સિવાય 45થી વધુ પશુના મોત નિપજ્યા છે.
ભારે વરસાદના કારણે ખેડૂતનો મોઢે આવેલો કોળિયો છીનવાયો
ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે નુકસાન સર્જાયું છે. જેમાં આણંદમાં તૈયાર બાજરી-ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. બીજી બાજું વડોદરામાં બે ઈંચ વરસાદ ખાબકતાં તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં.
આંબાવાડીઓને થયું નુકસાન
આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનનગરમાં 2500 હેક્ટરમાં પાકેલી કેરીના આંબાને નુસાન થયું હતું. મહુવામાં 7 ઈંચ વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ પાલીતાણામાં વરસાદના કારણે 2500 હેક્ટર જેટલાં વિસ્તારની આંબાવાડીઓની કેસર કેરીના આંબાને નુકસાન થયું હતું.