વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. સોમવારે તેમણે પાકિસ્તાન અંગે એક નિવેદન આપ્યું તેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે.
મોદીની ટિપ્પણી અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે. પાકિસ્તાને કહ્યું કે મોદીની ટિપ્પણી પહેલેથી જ અસ્થિરતાગ્રસ્ત ક્ષેત્રમાં એક ખતરનાક ઉદાહરણ સ્થાપે છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, "આવા નિવેદનો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના મૂળ સિદ્ધાંતોનો સ્પષ્ટ રીતે ભંગ કરે છે, જે સભ્ય દેશોને વિવાદોને શાંતિપૂર્વક ઉકેલવા અને અન્ય દેશોની સંપ્રભુતા તથા રાજકીય સ્વતંત્રતા વિરુદ્ધ બળનો ઉપયોગ કરવા અથવા ધમકી આપવાની મનાઈ કરે છે."
નિવેદનમાં જણાવાયું છે કે, "આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતની નિવેદનબાજીને ગંભીરતાથી લેવી જોઈએ, જે ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિની સંભાવનાને નબળી પાડે છે."
સોમવારે પીએમ મોદીએ ભુજમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "પાકિસ્તાનને આતંકની બીમારીથી મુક્ત કરવા માટે પાકિસ્તાનની જનતાએ પણ આગળ આવવું પડશે. પાકિસ્તાનના નવયુવાનોએ આગળ આવવું પડશે. સુખચેનની જિંદગી જીવો, રોટી ખાવ, નહીંતર મારી ગોળી તો છે જ."