ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને જીવવાનો કોઈ અધિકાર નથી. ત્યારે ઈરાન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હવે ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને પણ બહાર કાઢવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઈરાને નવા ગુપ્તચર વિભાગના નવા વડાની નિયુક્તિ કરી લીધી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ ના કમાન્ડર મેજર જનરલ મોહમ્મદ પાકપોરે બ્રિગેડિયર જનરલ માજિદ ખાદામીને ગુપ્તચર વિભાગના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે.
આ ઉપરાંત ગુરુવારે મોડી રાત્રે ઈરાનના તેહરાનમાં એક સાથે અનેક વિસ્ફોટ થયા છે. જેના કારણે ત્યાં સાયરન વાગી હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.ઈઝરાયલ ઈરાનમાં સતત ઘણા સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. જોકે, ઈરાન પણ સતત મિસાઇલો પર નિર્ભર છે. તેમજ તે ઇઝરાયેલ પર લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરી રહ્યું છે. જે ઇઝરાયલના શહેરોને નિશાન બનાવી રહ્યું છે.