કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ શૈક્ષણિક કિટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો
કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા એસ.એમ.સી. ના સભ્યો, વાલીઓ અને શિક્ષકો સાથે બેઠક યોજી
ઘોઘા તાલુકાના કોળિયાક અને હાથબ ગામની શાળાઓમાં ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ કોળિયાક ખાતે કોળીયાક કે.વ. પ્રા. શાળા, કોળીયાક કન્યા પ્રા. શાળા, શકિતનગર પ્રા. શાળા, નિષ્લંક પ્રા. શાળા, જે.કે. છોટાલા હાઈસ્કુલ તેમજ હાથબ ખાતે પી.એમ.શ્રી હાથબ પ્રા. શાળા, હાથબ બંગલા પ્રા. શાળા, સરકારી ઉ.મા. શાળા હાથબ ના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ તકે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ થકી વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથે સ્કોલરશીપ પણ મળે છે.
વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં પ્રારંભ થયેલ 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - 2025' ની ઉજવણી થઈ રહી છે. સરકારી શાળાઓ કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડથી સુસજ્જ બની છે.
કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના, વક્તવ્યો સહિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તમામ શાળાઓમાં કેન્દ્રીય મંત્રી શ્રી સહિત મહાનુભાવો એ બાલવાટિકા, આંગણવાડી અને પ્રથમ ધોરણમાં અને ધો. ૯ માં પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કિટ આપીને પ્રવેશ અપાવ્યો હતો.
આ તકે સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના સંયુક્ત સચિવ શ્રી હિરેન ઠાકર ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્ર સિંહ પઢેરિયા એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ., સી.ઇ.ટી., જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ, જ્ઞાનસાધના અને જ્ઞાનસેતુનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રી શ્રી દ્વારા એસ.એમ.સી. ના સભ્યો, વાલીઓ અને શિક્ષકો સાથે બેઠક કરી હતી.
હાથબ ખાતે કાર્યક્રમનું સંચાલન શ્રી મિતુલ રાવલ એ કર્યું હતું.
આ તકે હાથબ ખાતે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ના સિનિયર જનરલ મેનેજર શ્રી ધનંજય કુમાર, બી.આર.સી. શ્રી કલ્પેશભાઈ પંડ્યા, સી.આર.સી. શ્રી વિજયભાઈ રાઠોડ, આગેવાન શ્રી કુલદીપ સિંહ સહિત ગામના સરપંચ શ્રી હિનાબેન, શિક્ષકો, વાલીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કોળિયાક ખાતે સરપંચ શ્રી જગદીશ ભાઈ, આચાર્ય શ્રી હિરેન ભાઈ, જયશ્રી બેન ચૌહાણ, સવજીભાઈ ડાભી, ગોવિંદભાઈ ડાભી, શિક્ષકો, વાલીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.