વકફ (સુધારા) બિલની સમીક્ષા અંગે રચવામાં આવેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC)નો રિપોર્ટ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. તો અહીં પેનલમાં હાજર ઘણા વિપક્ષી સાંસદોએ કહ્યું કે, તેમની અસંમતિ નોંધ તેમની જાણ વગર દૂર કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને સભ્ય સંજય જયસ્વાલ સોમવારે લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે. સમિતિએ ગુરુવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને રિપોર્ટ સુપરત કર્યો હતો.
ડ્રાફ્ટ કાયદા પરના રિપોર્ટને 15-11 બહુમતીથી સ્વીકાર્યો હતો અને અમુક સાંસદ ને કમિટ માથી સસ્પેન્ડ કર્યા હતા
સમિતિએ બુધવારે બહુમતીથી રિપોર્ટનો સ્વીકાર કરી લીધો હતો. જેમાં શાસક ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા સૂચવેલા સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બાદ વિપક્ષે આ પ્રક્રિયાને વક્ફ બોર્ડને નષ્ટ કરવાનો પ્રયાસ ગણાવ્યો. વકફ સુધારા બિલ પર સંસદની સંયુક્ત સમિતિએ ડ્રાફ્ટ કાયદા પરના રિપોર્ટને 15-11 બહુમતીથી સ્વીકાર્યો હતો.
વિપક્ષી સભ્યોએ આ રિપોર્ટ સાથે અસહમતિ દર્શાવી હતી. ભાજપના સભ્યોએ ભાર મૂક્યો હતો કે, ગયા વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરાયેલા આ બિલમાં વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારીની જોગવાઈ છે. બીજી તરફ, વિપક્ષે તેને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારો પર હુમલો અને વક્ફ બોર્ડના કામકાજમાં દખલગીરી કરવાનો આરોપ મૂક્યો હતો.
આપણને ચૂપ કરવા માટે આ બધું કેમ કરવામાં આવી રહ્યું છે?
કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે, તેમણે અસંમતિ પત્ર આપ્યો હતો, જેને હટાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વિપક્ષના અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, 'મારી જાણ વગર અસંમતિ નોંધ દૂર કરવામાં આવી હતી. વકફ બિલ પર રચવામાં આવેલી સંયુક્ત સમિતિની પહેલેથી જ મજાક ઉડાવવામાં આવી હતી. હવે વિપક્ષી સાંસદોને પણ બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. આપણને ચૂપ કરવા માટે આ બધું કેમ કરવામાં આવી રહ્યું છે?
મારી જાણ બહાર મારી નોંધોના કેટલાક ભાગોમાં ફેરફાર કરાયા
આ પહેલા શુક્રવારે આ પહેલા અસદુદ્દીન ઓવૈસીએ પણ આવા જ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'બિલ પર સંયુક્ત સમિતિના રિપોર્ટ પર તેમની વિગતવાર અસંમતિ નોંધ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે તેમની જાણ વગર કાઢી નાખી હતી. સમિતિના સભ્ય ઓવૈસીએ આ અહેવાલ પર 231 પાનાની અસંમતિ નોંધ આપી હતી. ઓવૈસીએ 'X' પર લખ્યું કે, 'મેં વક્ફ સુધારા બિલ વિરુદ્ધ સંયુક્ત સમિતિને વિગતવાર અસંમતિ નોંધ સુપરત કરી હતી. તેમજ મારી જાણ બહાર જ મારી નોંધોના કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા તે આઘાતજનક છે. હટાવી દેવામાં આવેલા નોંધ વિવાદાસ્પદ નહોતા; તેમાં ફક્ત હકીકતો બતાવવામાં આવી હતી.