Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 22 April 2025

'બે કોડીના રાક્ષસો મારા પર ગુજસીટોક કરી બતાવે':જિગિશા પટેલ સહિતના આગેવાનો ગોંડલના રાજકારણને લઈ ગર્જયા, કહ્યું-'શાંતિથી જીવવું હોય તો બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે

'બે કોડીના રાક્ષસો મારા પર ગુજસીટોક કરી બતાવે':જિગિશા પટેલ સહિતના આગેવાનો ગોંડલના રાજકારણને લઈ ગર્જયા, કહ્યું-'શાંતિથી જીવવું હોય તો બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે
સ્ટેજ પર ડાબેથી ધાર્મિક માલવીયા, મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જિગિશા પટેલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલનું રાજકારણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પાટીદાર આગેવાન જિગિશા પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોઘરા સહિતના આગેવાનો સુરતમાં એકત્ર થયા હતા અને ગોંડલની વર્તમાન સ્થિતિને લઈ ચિંતા વ્યકત કરી હતી. તમામ આગેવાનોએ ગોંડલના કોઈ રાજકીય આગેવાનનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. જિગિશા પટેલે ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે, બે કોડીના રાક્ષસો મારા પર ગુજસીટોક કરી બતાવે. સાથે કહ્યું હતું કે, ગોંડલમાં લોકોને શાંતિથી જીવવું હશે તો બની બેસેલા દાદાઓને પતાવવા પડશે.


ગોંડલમાં સ્વ. વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપિત કરવાના પ્રયાસો શરૂ ગોંડલની અંદર વર્ષો પહેલા વિનુ શિંગાળા દ્વારા સમાજ હિતમાં જે લડાઈ શરૂ કરવામાં આવી હતી તેને હવે પાટીદાર યુવાનો યાદ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદારોની વસ્તી વધુ હોવા છતાં પણ પાટીદારોનું નેતૃત્વ દિશા વિહીન લાગી રહ્યું છે. એવી વાતો હાલ સુરતમાં વહેતી થઈ છે. ગોંડલ ખાતે સ્વ. વિનુ શિંગાળાની પ્રતિમા બનાવવા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ હાજર રહ્યા હતા. જિગિશા પટેલ દ્વારા વિનુ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં પ્રસ્થાપિત કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જેના ભાગરૂપે સુરતમાં બેઠક યોજાઈને ગોંડલના તેમજ અન્ય પાટીદાર યુવાનોને એકત્રિત કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે.

ગોંડલમાં બની બેઠેલા દાદાઓને બતાવવા પડશે- જિગિશા પટેલ જિગિશા પટેલે કહ્યું કે, ગોંડલમાં પાટીદારોએ શાંતિથી રહેવું હશે, દલિતોએ શાંતિથી રહેવું હશે, તો આવા બંને બેઠેલા દાદાઓને પતાવવા પડશે. ક્યાં સુધી ડરીને જીવીશું, ગોંડલમાં રામરાજ્યની સ્થાપના કરવાની છે. વિનુભાઈ શિંગાળાની પ્રતિમા ઊભી કરવાના મારા જીવના જોખમે નિર્ણય લીધો છે. આવા જલ્લાદોના બાનમાંથી ગોંડલને મુક્ત કરવા માંગતા હોય તો મને સહકાર આપો. આ લોકોની જે બે નંબરની આવકો આવી રહી છે ને એના સરનામા મારી સુધી પહોંચાડજો પછી હું છું ને એ લોકો છે. આજે આ લોકોના ઘર શેના ઉપર ટકેલા છે એની હું તમને વાત કરું એપીએમસી, ગોંડલની નાગરિક બેંક, ગોંડલની નગરપાલિકા એના ઉપર આ લોકો ઉભા છે.અહીંથી જ આખું રાજકારણ થાય છે. જે લોકો એમની સામે ઊભા થઈ રહ્યા છે એમની સામે ગુજસીટોક લગાડી દેવામાં આવી રહ્યા છે.

       ઉપસ્થિત લોકોને સંબોધી રહેલા જિગિશા પટે

વિનુભાઈ શિંગાળા લોકોને જાગૃત કરવાનું માધ્યમ પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરીયાએ જણાવ્યું કે, ગોંડલની અંદર જે વિનુ શિંગાળાનો પરિવાર છે આજે કેવી સ્થિતિમાં છે તે આપણે સમજવું પડશે. પહેલા તો તેમના પરિવારને મજબૂત કરવો પડશે. વિનુભાઈ શિંગાળા એ આપણા માટે તમામ સમાજના લોકોને જાગૃત કરવાનું એક માધ્યમ છે. આંદોલનમાં ભૂમિકા ભજવવા પહેલા ભૂતકાળ જોઈ લેવો આપણી પાછળ કેટલા ઉભા છે તે જોઈને આગળ નહીં આવવું. પોતાનામાં ત્રેવડ હોય તો જ આગળ આવવું. કેશુ બાપાના પહેલા એ ઘણા બાપા હતા તેમને પણ અનુભવ થઈ ગયો અને કેશું બાપાને પણ અનુભવ થઈ ગયો છે. વિનુભાઈ શિંગાળા આપણા માટે એક માધ્યમ છે તેમનું સપનું હતું કે તમામ સમાજના લોકો એક થાય. આપણે એમની ગમે તેટલી મોટી પ્રતિમાં ઉભી કરશું તોય ઓછી છે. સરદાર પટેલની 150 મી જન્મ જયંતિએ તો આપણને એમની યાદ આવી છે. ગોંડલમાં ક્રાંતિ લાવવા માટે અનેક બેઠકો કરવી પડશે અને લોકોને જોડવા પડશે.

'પાટીદારની 80% વસ્તી છતાં MLA નથી ડૂબી મરવા જેવું છે' મેહુલ બોઘરાએ જણાવ્યું કે ગોંડલમાં લોકશાહીના નામે લોહિયાળશાહી ચાલે રહી છે. લોકશાહી એટલે કે દરેક વ્યક્તિ પોતાનું મંતવ્ય આપી શકે દરેક વ્યક્તિ પોતાની રીતે દરેક કાર્યમાં ભાગ લઈ શકે. ચૂંટણી પ્રક્રિયા થાય મતદાન થાય ઉમેદવાર ચૂંટાઈને આવે. ગોંડલ ને જ્યાં સુધી હું જાણું છું જ ત્યાં સુધી જાહેરમાં ધાક ધમકી આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આપણે સાંભળીએ છીએ કે જો ગોંડલમાં કોઈ ઉભશે તો અમારા પરિવારમાંથી ઉભશે. અને જે વ્યક્તિ આગળ આવવાનો પ્રયાસ કરે છે તેની શું સ્થિતિ થાય છે આપણે બધાએ જોઈ છે. ગોંડલમાં 80% વસ્તી પાટીદારોની છે. આપણી વસ્તી હોવા છતાં પણ જો પાટીદારનો MLA ન હોય ને તો એ આપણા માટે શરમથી ડૂબી જવા જેવી વાત છે. વિધાનસભાની ચૂંટણીમાં 2022માં નિમિશા ખૂંટ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભા રહ્યા હતા. પાટીદાર હોવા છતાં માત્ર 12 હજાર વોટ મળ્યા હતા.

સુરતમાં આંદોલનને સફળતા મળે તો ગોંડલની ચર્ચા વધુ થશે સુરતની અંદર પાટીદારો રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવીને વસ્યા છે. સુરતમાં જ્યારે પણ કોઈ આંદોલનની ચર્ચા થાય છે તે ઝડપથી વેગ પકડતું હોય છે કારણ કે સુરતમાં તમામ જિલ્લાના લોકો રહેતા હોવાને કારણે અહીંથી સૌરાષ્ટ્રમાં ઝડપથી હવા બને છે. સ્વ. વિનુ શિંગાળાની પ્રતિમા બનાવવા માટે ફરી એક વખત સુરતને કેન્દ્ર બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગોંડલમાં ભવિષ્યમાં બનનારી સ્વ. વિનુ શિંગાળાની પ્રતિમાને પ્રતિકાત્મક રીતે આગળ વધારી પાટીદારોને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગોંડલમાં વધુ વસ્તી હોવા છતાં પણ પાટીદારોને નેતૃત્વ મળી રહ્યું નથી તેવી એક આંતરિક ખેદ પાટીદારો અનુભવી રહ્યા છે વિનુ શિંગાળાના માધ્યમથી ગોંડલમાં ફરી એક વખત પાટીદારોને જગાડીને રાજકીય નેતૃત્વ પણ હાસિલ કરવા માટેનો પ્રયાસ શરૂ થઈ ગયો છે.