મોટા સમઢીયાળા, લોલીયા, ખીરસરા (વિંઝાણ) અને જાળીયા ગામના દલિત પરિવારો જેવી જ સ્થિતિ રાજ્યનાં અન્ય 23 ગામો-શહેરોમાં રહેતા અન્ય 23 દલિત પરિવારોની છે.
મહેસાણાના વકીલ કૌશિક પરમારે માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલ એક અરજીના જવાબમાં ગુજરાત સરકારે 25 ફેબ્રુઆરી 2025ના રોજ જણાવ્યું હતું કે જૂન, 2024ની સ્થિતિએ રાજ્યનાં કુલ 27 ગામો/શહેરોમાં દલિતોને પોલીસ રક્ષણ અપાઈ રહ્યું હતું.
આ પરિવારો પર કથિત રીતે હુમલા થયા હતા અને ઍટ્રોસિટીના કેસ નોંધાયા હતા. તેમાં લોલીયા, ખીરસરા (વિંઝાણ), સાણોદર (ભાવનગર જિલ્લો), જાળીલા (બોટાદ), ચરેલ (રાજકોટ) અને સમઢીયાળા (સુરેન્દ્રનગર)માં કુલ સાત દલિતોની હત્યાઓનો સમાવેશ થાય છે.
આ 27 કેસોમાં જ્યાં પોલીસ રક્ષણ છે તેમાં ભાવનગર જિલ્લાના છ, ખેડા, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના ત્રણ-ત્રણ, અમદાવાદ, બોટાદ, આણંદ, અને સુરેન્દ્રનગરના બે-બે અને જૂનાગઢ, રાજકોટ, મોરબી અને મહેસાણા જિલ્લાના એક-એક કેસનો સમાવેશ થાય છે.
તેમાંથી 12 કેસોમાં વ્યક્તિગત રક્ષણ આપવામાં આવેલ છે. અન્ય કિસ્સાઓમાં રક્ષણ મહોલ્લામાં કે મહોલ્લાની સાથે વ્યક્તિગત એમ બંને રીતે પૂરું પાડવામાં આવી રહ્યું છે.
મોટા સમઢીયાળા, લોલીયા, સાણોદર વગેરે ગામોમાં પોલીસ બંદોબસ્ત મહોલ્લામાં અને વ્યક્તિગત એમ બંને રીતે છે, જ્યારે જાળિયામાં રક્ષણ મહોલ્લામાં એટલે કે પ્રવીણ ગોહિલના ઘરની નજીક છે.
લોલીયા ગામે 2013થી અપાઈ રહેલું રક્ષણ હાલ સૌથી વધારે લાંબા સમયથી ચાલ્યું આવતું રક્ષણ છે જ્યારે 26 જૂન 2024ના રોજ ખેડા જિલ્લાના ચકલાસીમાં મોહનભાઇ રોહિત અને તેમનાં પત્ની વિમળાબહેન પર તેમના જ ગામના નવેક લોકોએ મોટરકાર ચલાવવા બાબતે થયેલી બોલાચાલી પછી હુમલો કરતાં તેમને આપવામાં આવી રહેલું પોલીસ રક્ષણ એ સૌથી નવો કેસ છે.
આ અંગે રાજ્ય સરકારનો મત જાણવા બીબીસીએ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો ફોન દ્વારા અને એસએમએસ દ્વારા સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. તેમના તરફથી પ્રતિક્રિયા મળશે ત્યારે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.