Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 29 May 2025

હત્યા, હુમલા, ઍટ્રોસિટી(અત્યાચાર) પછી ભયના ઓથાર હેઠળ દલિત પરિવાર

હત્યા, હુમલા, ઍટ્રોસિટી(અત્યાચાર) પછી ભયના ઓથાર હેઠળ દલિત પરિવાર
           વિજયભાઈનાં માતા કંકુબહેન

11 જુલાઈ, 2016ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ઉના નજીક આવેલ મોટા સમઢીયાળા ગામે દલિત વશરામ સરવૈયા, તેમના નાના ભાઈ રમેશ સરવૈયા અને તેમના પિતરાઈ ભાઈઓ અશોક સરવૈયા અને બેચર સરવૈયા એક મરેલી ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કહેવાતા ગૌરક્ષકોએ તેમના પર ગૌવધનો આરોપ લગાવી તેમના પર કથિત રીતે હુમલો કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે વશરામના પિતા બાલુભાઈ સરવૈયા અને માતા કુંવરબેન તેમજ તેમના બે સંબંધીઓ વશરામ વગેરેને બચાવવા વચ્ચે પડ્યા તો કહેવાતા ગૌરક્ષકોએ તેમના પર પણ કથિત રીતે હુમલો કર્યો. ત્યાર બાદ, આ કથિત ગૌરક્ષકો વશરામ, રમેશ, અશોક અને બેચરનું એક કારમાં અપહરણ કરી, ઉના લઈ જઈ, તેમને કાર સાથે દોરડાથી બાંધી માર મારતાં મારતાં ઉના પોલીસ સ્ટેશન નજીક લઈ ગયા અને તેમને ત્યાં છોડીને જતા રહ્યા.


પાંચ દિવસ બાદ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ આ ઘટના સંસદમાં ઉઠાવતા દેશભરમાં દલિતો પરના આ કથિત અત્યાચારો ચર્ચાની એરણે ચડ્યા.
આ ઘટનાથી ગુજરાતમાં દલિતોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને ઠેર-ઠેર વિરોધપ્રદર્શનો અને કેટલીક જગ્યાએ રમખાણો થયાં હતાં અને તેમાં એક પોલીસકર્મીનું મૃત્યુ પણ થયું હતું.
ગુજરાતનાં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલથી માંડીને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દિલ્હીના તે વખતના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વગેરે નેતાઓ બાલુભાઈ, વશરામ વગેરેને મળીને રૂબરૂ મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી.
પોતાના રક્ષણ માટે મુકાયેલા પોલીસકર્મી સાથે વાત કરી રહેલા વશરામ સરવૈયા

આ વાતને હવે નવ વર્ષ પૂર્ણ થવાં આવ્યાં છે. સરવૈયા પરિવારના સભ્યો કેટલેક અંશે સામાન્ય જિંદગી જીવી રહ્યા હોય તેમ લાગે છે.

હાલ, બાલુભાઈ તેમનો મોટા ભાગનો સમય તેમની વાડીમાં રાખેલી બે ગાયો, બે ભેંસો, બે પાડીઓ અને એક ઘોડીને પાળવામાં કાઢે છે.

વશરામ, રમેશ અને બેચર વાડીમાં વાવેલ જીંજવો અને મકાઈ વાઢીને બાલુભાઈને આપે છે અને વૃદ્ધ બાલુભાઈ તે ચારો ગાયો-ભેંસોને નિર્યા કરે છે.

બીબીસી ગુજરાતીએ જે દિવસે મોટા સમઢીયાળાની મુલાકાત લીધી તે દિવસે વશરામ વાડીએથી જેવા ઘરે પહોંચ્યા એટલે તેમની પાંચ વર્ષની દીકરી વિદિશા તેમને વળગી પડી.

ઘરમાં કુંવરબહેન તેમજ વશરામનાં પત્ની મનીષા ઘરકામમાં વ્યસ્ત હતાં. સરવૈયા પરિવારના નવા ચણાઈ રહેલ મકાનમાં દીવાલ પરના પ્લાસ્ટરને પાણી પાવાનું કામ ચાલી રહ્યું હતું. સરવૈયા પરિવારના ઘરથી થોડે દૂર ચોકમાં બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતાં અને કેટલાક વૃદ્ધો ચોકમાં આવેલ લીમડાના વૃક્ષ નીચે ચોરા પર બેસી ગરમ હવામાનમાં ઠંડકથી વાતો કરી રહ્યા હતા.

પરંતુ, આ સામાન્ય લાગતા રોજિંદા જીવનમાં એક અસામાન્ય બાબત હતી—સરવૈયા પરિવારના સભ્યો અને મોટા સમઢીયાળા ગામના જે વિસ્તારમાં તેઓ રહે છે ત્યાં સતત પોલીસનો પહેરો રહે છે.

આ પરિવારના રક્ષણ માટે સ્ટેટ રિઝર્વ પોલીસ (રાજ્ય અનામત પોલીસ દળ) એટલે કે એસ.આર.પી.ના ત્રણ હથિયારધારી કૉન્સ્ટેબલ, એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસના બે કૉન્સ્ટેબલ હાજર રહે છે. જો વશરામ, રમેશ કે બાલુભાઈ બહારગામ જાય તો પોલીસકર્મી પણ તેમની સાથે મુસાફરી કરે છે અને તેમનું રક્ષણ કરે છે.