Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 29 May 2025

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન:બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં; પોલીસને તલવાર બતાવી ધમકાવનાર બે આરોપી અહીં રહેતા

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન:બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં; પોલીસને તલવાર બતાવી ધમકાવનાર બે આરોપી અહીં રહેતા
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં આજે (29 મે, 2025) સવારે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અજિત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનો હતાં, જેને બે કલાકની અંદર પાંચ જેસીબી અને આઠથી વધુ હિટાચી મશીનથી તોડી પાડવામાં આવ્યાં હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન બાદ હવે સમગ્ર કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાટમાળ દૂર કરાયા બાદ ફરીથી લોકો કબજો ન કરે તે માટે કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવી દેવામાં આવશે.

અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યાં હતાં, જેમાંના 76 લોકો હજી પણ અહીં રહેતા હતાં. આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ બાદ ફરીથી દબાણ ન થાય એ માટે કોર્પોરેશન દ્વારા દીવાલ બનાવી દેવામાં આવશે.

શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન કરાયુંઃ ACP H ડિવિઝન એસીપી આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, બાપુનગરના અકબરનગરના છાપરાના ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 એસીપી, 9 પીઆઇ, 27 પીએસઆઈ, 400 પોલીસકર્મી સહિત 10 SRP સેક્સન બંદોબસ્તમાં મૂકવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે મકાનોના ડિમોલિશન કરવામાં આવ્યા છે.
15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશેઃ ડે. મ્યુ. કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તાર તરીકે ઓળખાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી મળી 14 વિશાળ મશીનરી સાથે 100 મજૂર સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી છે. ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. ગેરકાયદે બાંધકામોને જેતે સમયથી નોટિસ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુમાં ઉમેર્યું કે, 15,000 ચોરસ મીટર જેટલી જગ્યાના દબાણો દૂર કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇબ્રેરી ગાર્ડન તેમજ વોર્ડ ઓફિસ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટેની વિચારણા હાથ ધરવામાં આવશે. અત્યારે ડિમોલિશન બાદ ફરીથી દબાણ ન થાય તેના માટે દિવાલ પણ બનાવવામાં આવશે.