ઘોર કળિયુગમાં માનવતા અને નૈતિક મૂલ્યોની દીવો લઈને શોધ કરવી પડે તેવી પરિસ્થિતિ વચ્ચે, ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર પ્રમાણિકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. શહેરના શાક માર્કેટ વિસ્તારમાં ગુમ થયેલ આશરે પાંચ તોલા વજનનું અને અંદાજે પાંચ લાખ રૂપિયાની કિંમતનું સોનાનું સાંકડું એક મુસ્લિમ નાગરિકને મળ્યું હતું, જે આજે પોલીસની હાજરીમાં તેના મૂળ હિન્દુ માલિક પરિવારને પરત કરવામાં આવ્યું હતું. આ કિસ્સાએ ખરા અર્થમાં માનવતા અને હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ કાયમ કરી છે.
બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રાના મેઘરાજસિંહ રાણા પરિવારની દીકરી પિતાના ઘરે આવેલી હતી. આ દરમિયાન શહેરના શાક માર્કેટ પાસેથી પસાર થતી વખતે તેમનું આશરે પાંચ તોલા વજનનું સોનાનું સાંકડું ક્યાંક પડી ગયું હતું. કિંમતી સાંકડું ગુમ થયાની જાણ થતાં પરિવાર ચિંતિત બન્યો હતો. તેમણે સામાજિક કાર્યકર સલીમભાઈ ઘાંચીનો સંપર્ક કરી સોશિયલ મીડિયાના માધ્યમથી સોનાનું સાંકડું ગુમ થયા અંગેનો મેસેજ વાયરલ કર્યો હતો, જેથી જો કોઈ પ્રમાણિક વ્યક્તિને મળ્યું હોય તો તે પરત કરી શકે.
આ વાયરલ થયેલો મેસેજ શહેરના કાળુભાઈ એમજભાઈ સુમરા નામના એક મુસ્લિમ વ્યક્તિના ધ્યાનમાં આવ્યો હતો, જેમને આ સોનાનું સાંકડું મળેલું હતું. પોતાની પાસે રહેલું પાંચ લાખ રૂપિયાની કિંમતનું સોનાનું સાંકડું જોઈ, ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમણે તાત્કાલિક મેસેજમાં દર્શાવેલ સંપર્ક કર્યો હતો અને પોતાની અણમોલ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આજે સીટી પીઆઈ એમ.યુ. મશીની હાજરીમાં કાળુભાઈ સુમરા અને તેમના પરિવારે ઈમાનદારી સાથે આ સોનાનું સાંકડું તેના મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને પરત કર્યું હતું. લાખો રૂપિયાની કિંમતનું પોતાનું ગુમ થયેલું કિંમતી સાંકડું પાછું મળતાં રાણા પરિવારની દીકરીની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા.
આ કિસ્સામાં કાળુભાઈ સુમરા દ્વારા દર્શાવવામાં આવેલી ઈમાનદારી અને માનવતા ખરેખર પ્રશંસનીય છે. આજના સમયમાં જ્યાં આવી પ્રમાણિકતા દુર્લભ બની રહી છે, ત્યાં પાંચ લાખ રૂપિયા જેવી માતબર રકમનું સોનું કોઈ પણ જાતના સ્વાર્થ વગર પરત કરી કાળુભાઈ અને તેમના પરિવારે સમાજ સમક્ષ ઉત્તમ આદર્શ રજૂ કર્યો છે. આ ઘટનાએ ધ્રાંગધ્રા શહેરમાં હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની ભાવનાને પણ વધુ મજબૂત બનાવી છે. ખરા અર્થમાં આ કિસ્સાએ સાબિત કર્યું છે કે નીતિ, સત્ય, પ્રેમ, લાગણી અને પ્રામાણિકતા જેવા નૈતિક મૂલ્યો આજે પણ માણસમાં જીવંત છે અને જરૂર છે માત્ર એને પ્રોત્સાહન આપવાની.