નર્મદા જિલ્લામાં RTEનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ થયેલા કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં મંજૂર થયેલી 29 અરજી રદ કરી છે. આ સમગ્ર મામલે 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલાને એસપી દ્વારા ગંભીરતાથી લઈને SITની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત પાંચ આરોપી ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ભાજપનો કાર્યકર એવો દર્પણ પટેલ સરપંચ અને તલાટીના ખોટા સિક્કા બનાવીને આખું કૌભાંડ આચરતો હતો. તે રેશનિંગની દુકાન પણ ચલાવે છે. તેણે એક ફીમેલ હેલ્થ વર્કરને તો વાર્ષિક 18000ની આવકનો દાખલો પણ કાઢી આપ્યો હતો.
15 માર્ચે સરકારે આવક મર્યાદા 1.50 લાખથી વધારી 6 લાખ કરી 15 માર્ચ પહેલા RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. જે 15 માર્ચ પછી વધારીને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો હતો એટલે કે, હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનને RTEમાં એડમિશન માટે અરજી કરી શકે છે.
તલાટી-સરપંચના ખોટા સિક્કા બનાવી આવકના દાખલા બનાવાતા નર્મદાના નાંદોદ તાલુકાના ભદામ ગામમાં તલાટી-સરપંચના ખોટા સિક્કા બનાવીને આવકના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મુખ્ય આરોપી દર્પણ પટેલે સરકારી રાશનની દૂકાન ધરાવે છે. જેણે અનેક લોકોને ખોટા આવકના દાખલા આપ્યા હતા. લોકોએ આ દાખલાનો ઉપયોગ કરીને RTE હેઠળ મફત શિક્ષણ મેળવવા અરજીઓ કરી હતી.