પહેલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી વખતે ભારતે રણનીતિક ભૂલો સુધારી અને પાકિસ્તાનની અંદર ઊંડે સુધી પ્રહાર કર્યો હતો તેમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શનિવારે કહ્યું હતું. તેમણે ભારતના છ રફાલ ફાઈટર જેટ તોડી પાડવાના ઈસ્લામાબાદના દાવને તદ્ન ખોટો ગણાવ્યો હતો. જનરલ ચૌહાણે મીડિયા સાથેની મુલાકાતમાં કહ્યું કે, ભારતે પ્રારંભિક નુકસાનનું આકલન કર્યા પછી પાકિસ્તાન પર ચોક્કસાઈપૂર્વક હુમલો કરીને તેને ઘૂંટણીયે લાવતા યુદ્ધવિરામ માટે મજબૂરી કરી દીધું હતું. જોકે, તેમણે ભારતે કેટલા ફાઈટર જેટ ગુમાવ્યા તેનો ખુલાસો કર્યો નહોતો. પાકિસ્તાન સાથે ચાર દિવસના ઘર્ષણમાં પહેલી વખત ભારતીય આર્મીએ નુકસાન થયાની કબૂલાત કરી છે.
પહેલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી કરી પાકિસ્તાનના નવ આતંકી સ્થળોનો નાશ કર્યો હતો. પાકિસ્તાન સાથે ચાર દિવસના ઘર્ષણ પછી પહેલી વખત સિંગાપોરમાં આયોજિત ૨૨મા શાંગ્રી-લા ડાયલોગમાં ભાગ લેતા ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણે મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું કે, વિમાન તૂટી પડયા કરતાં વિમાન શા માટે તૂટી પડયા તે જાણવું વધુ મહત્વપૂર્ણ છે, જેથી ટેકટિક્સમાં સુધારો કરીને ભારતીય સૈન્ય ફરી પ્રહાર કરી શકે.
CDSચૌહાણને ભારત સાથે ચાર દિવસના ઘર્ષણમાં પાકિસ્તાને રફાલ વિમાન તોડી પાડયાના દાવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે ફાઈટર જેટ તૂટી પડયા કરતાં વધુ મહત્વનું એ છે કે શા માટે તે તૂટી પડયા તે જાણવું જોઈએ. અમારા માટે સારી વાત એ છે કે અમે કરેલી ટેક્ટીકલ ભૂલો તરત સમજી લીધી, તેને સુધારી અને બે દિવસ પછી ફરી પ્રહાર કર્યો. અમારા બધા જ વિમાનોએ લાંબા અંતર પરથી નિશાન સાધ્યું.