-Friday World September 09 2026
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા એ માત્ર તહેવાર નથી, એ લાગણી છે, એ સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિના કેન્દ્રમાં છે ભોજન. અષ્ટમીની લુચી, નવમીનું કોચી પાઠા (બકરાના માંસનું શાક) અને માછલી વગર બંગાળી દુર્ગા પૂજા અધૂરી ગણાય છે. ત્યારે હાવડાના લિલુઆમાં યોજાયેલી ત્રણ દિવસીય હનુમંત કથા દરમિયાન બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે આપેલા એક નિવેદને આખા બંગાળના રાજકારણમાં તોફાન મચાવી દીધું છે.
બાબા બાગેશ્વરે મંચ પરથી હિન્દુઓને અપીલ કરી હતી કે, "બંગાળના હિન્દુઓને મારી પ્રાર્થના છે, આ વખતની નવરાત્રિમાં તમે દેવીની પ્રતિમા ભલે ન રાખો, પણ પ્રતિમાની આસપાસ નોન-વેજ ન વેચાય તેનું ધ્યાન રાખો. માંસ-દારૂની દુકાનો દુર્ગા પૂજા દરમિયાન બંધ રહેવી જોઈએ. જે લોકો દુર્ગા પૂજા દરમિયાન નોન-વેજ ખાય છે તે પાખંડી છે."
તેમણે તો ત્યાં સુધી કહ્યું કે નોન-વેજ એ "ગંદુ ખાના" છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ પણ પંડાલોની પવિત્રતા જાળવવા માટે નોન-વેજ ખોરાકને દૂર રાખવાની એડવાઈઝરી જારી કરી હતી. બાબા બાગેશ્વરના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો.
ભાજપના નેતાઓ જ મેદાને: "અમને કોઈ નહીં રોકી શકે"
આ વિવાદમાં સૌથી રસપ્રદ વાત એ છે કે બાબા બાગેશ્વરનો સૌથી મોટો વિરોધ ભાજપની અંદરથી જ થયો છે.
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ સ્પષ્ટ શબ્દોમાં બાબાની અપીલને ફગાવી દીધી. તેમણે કહ્યું, "બંગાળીઓ માછલી-માંસ નહીં ખાય તો શું ખાશે? સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે માં કાલીને બકરાના માંસનો ભોગ ધરાવાય છે. વિવેકાનંદથી મોટું કોણ છે? આ તેમનો અંગત અભિપ્રાય છે. અમે અષ્ટમીએ લુચી અને નવમીએ કોચી પાઠા ખાતા આવ્યા છીએ અને ખાતા રહીશું. બંગાળમાં બહારથી આવીને કોઈ નક્કી ન કરી શકે કે કોણ શું ખાશે અને શું પહેરશે."
ભાજપના વરિષ્ઠ નેતા અને ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે પણ કહ્યું, "જેમને તેમનું અનુસરણ કરવું હોય કરે. નોન-વેજ ન ખાવાથી કોઈને નુકસાન નથી. અને મારા જેવા જે લોકો નોન-વેજ ખાવાના જ છે, તે તેમને અવગણશે. આટલો હોબાળો શેનો?"
તો બીજી તરફ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ તો બાબા બાગેશ્વરને મંચ પર આવકાર્યા હતા અને બંગાળમાં બાગેશ્વર ધામનું કેન્દ્ર ખોલવા માટે પણ આમંત્રણ આપ્યું હતું, જેના કારણે વિપક્ષને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો.
બંગાળી અસ્મિતાનો સવાલ
આ વિવાદ માત્ર ખાવા-પીવાનો નથી, તે બંગાળી સંસ્કૃતિનો છે. બંગાળમાં શક્તિ પૂજા એ વૈષ્ણવ પરંપરાથી અલગ છે. અહીં દેવીને બલિ ચડાવવાની અને માંસ-માછલીનો પ્રસાદ ધરાવવાની સદીઓ જૂની પરંપરા છે. આને ઉત્તર ભારતની શાકાહારી નવરાત્રિ પરંપરા સાથે સરખાવવી એ બંગાળી સંસ્કૃતિનું અપમાન છે તેવો આક્ષેપ તૃણમૂલ, કોંગ્રેસ અને સીપીએમ કરી રહ્યા છે.
કોલકાતામાં કોંગ્રેસે તો ભવાની ભવન પોલીસ સ્ટેશનમાં બાબા બાગેશ્વર વિરુદ્ધ "સામાજિક વૈમનસ્ય ફેલાવવા" અને "બંગાળીઓની લાગણી દુભાવવા" બદલ ફરિયાદ પણ નોંધાવી છે.
સોશિયલ મીડિયા પર પણ #BengaliFoodCulture અને #FishIsOurRight ટ્રેન્ડ થઈ રહ્યું છે. એક યુઝરે લખ્યું કે, "બહારથી આવીને કોઈ અમને શીખવે કે અમે દુર્ગા પૂજા કેવી રીતે ઉજવવી?"
રાજકારણની નવી ખીચડી
નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ બંગાળમાં હિન્દુત્વ અને બંગાળી અસ્મિતાને સાથે લઈને ચાલવા માંગે છે, પરંતુ આ ઘટનાએ તેનું સંતુલન બગાડ્યું છે. એક તરફ હિન્દુ વોટ બેંકને ખુશ કરવા બાબા બાગેશ્વર જેવા પ્રચારકોને બોલાવવા અને બીજી તરફ માછલી-ભાત પ્રેમી બંગાળીઓને નારાજ ન કરવા, એ ભાજપ માટે અઘરી કસોટી બની ગઈ છે.
આખરે સવાલ એ છે કે ધર્મ શું ખાવું તે નક્કી કરશે કે સંસ્કૃતિ? બંગાળે તો પોતાનો જવાબ આપી દીધો છે - "અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે."
Sajjadali Nayani ✍
Friday World September 09 2026
#DhirendraShastri #BageshwarBaba #DurgaPujaControversy #BengaliCulture #WestBengalPolitics #NonVegRow #FishAndRice #NavratriDebate #BJPvsBaba #FoodFreedom