Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 2 September 2026

ગુજરાતના ખેડૂત વરસાદની અછતથી પાયમાલ : ખેડૂત-ખેતી-ગામડું બચાવવા તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો : અમિત ચાવડા

ગુજરાતના ખેડૂત વરસાદની અછતથી પાયમાલ : ખેડૂત-ખેતી-ગામડું બચાવવા તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો : અમિત ચાવડા
-Friday World 2 Sep 2026
• ખેડુતોનું ચાલુ વર્ષનું વીજબીલ અને પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે : અમિત ચાવડા
• દુષ્કાળગ્રસ્ત જીલ્લાઓમાં ૭ કિ.મી. ની ત્રીજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર તથા પાંજરાપોળ ખોલવામાં આવે : અમિત ચાવડા 
• ખેડુતો, ખેત મજુરો અને નાના રોજમદારોની રોજીરોટી માટે રાહત કામો ચાલુ કરવામાં આવે : અમિત ચાવડા
• મુખ્યમંત્રી દિલ્હી-વિદેશના પ્રવાસમાં અને નાયબ મુખ્યમંત્રી રીલ્સ બનાવવામાં વ્યસ્ત, પરંતુ ખેડૂતના ખેતરે જવાનો સમય નથી : અમિત ચાવડા

ગુજરાતમાં નબળા ચોમાસા અને અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આકાશમાં ઉડી રહ્યા છે, પરંતુ ગુજરાતના ખેડૂતોની જમીન પરની વ્યથા અને પીડા જોવા માટે ક્યારે ખેતરે ઉતરશે?”
ગુજરાતનો જગતનો તાત આજે ચારે બાજુથી મુશ્કેલીમાં છે. એક તરફ મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘા જંતુનાશક અને ખેતીના વધતા ખર્ચનો બોજ છે, બીજી તરફ પાકને પૂરતો અને પોષણક્ષમ બજારભાવ મળતો નથી. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક કમોસમી વરસાદ અને હવે અનેક વિસ્તારોમાં લાંબો કોરો સમય આ બધાના કારણે ખેડૂતની આર્થિક કમર તૂટી રહી છે.
આજે ગુજરાતના ખેડૂતોને કુદરતી સંકટ સામે સરકારની મજબૂત સહાયની જરૂર છે. પરંતુ “ડબલ એન્જિન” સરકાર જાહેરાતો અને પ્રચારમાં વ્યસ્ત છે, જ્યારે ખેડૂત દેવા, વધતા ખર્ચ અને પાકના જોખમ વચ્ચે ફસાયો છે.
NCRBના ૨૦૨૩ના આંકડા મુજબ દેશમાં ખેતી સાથે સંકળાયેલા ૧૦,૭૮૬ લોકો ૪,૬૯૦ ખેડૂતો, ખેડૂત અને ૬,૦૯૬ કૃષિ મજૂરો, આત્મહત્યા કરી હતી. આ આંકડો દેશના કૃષિ સંકટની ગંભીરતા દર્શાવે છે. 
ગુજરાતમાં આજે વરસાદની અછત આ સંકટને વધુ ગંભીર બનાવી રહી છે. IMDના ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના આંકડા મુજબ રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં આશરે ૧૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે અને ૧૫ જિલ્લાઓ વરસાદની અછતની સ્થિતિમાં છે. દેવભૂમિ દ્વારકામાં આશરે ૮૮ ટકા, પોરબંદરમાં ૭૩ ટકા તથા જામનગર અને કચ્છમાં આશરે ૬૦ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 
આ સ્થિતિને માત્ર આંકડાઓથી નહીં પરંતુ ગામડે-ગામડે પાકની વાસ્તવિક સ્થિતિના સર્વેક્ષણથી જોવાની જરૂર છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર સમક્ષ નીચેની તાત્કાલિક માંગણીઓ છે કે:

1. ગુજરાત સરકારે જ બનાવેલા કાયદા મુજબ જે જે જિલ્લા, તાલુકા અછતગ્રસ્ત જાહેર થવાને પાત્ર છે તે તમામ જિલ્લા તાલુકાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે
2. સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો સૌની યોજનાથી ભરવાની જોગવાઈ છે તે તમામ ડેમો તાત્કાલિક ભરવામાં આવે,
3. ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે,
4. લાગુ પડતા તમામ તાલુકાઓમાં નિયમોનુસાર ૭ કિલોમીટરની ત્રિજ્યમાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવામાં આવે,
5. દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં નિયમોનુસાર પાંજરાપોળ ખોલવામાં આવે,
6. ખેડૂતોનું ચાલુ વર્ષનું વિજબીલ (ફિક્સ) સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
7. ખેડૂતો, ખેત મજૂરોને રોજીરોટી માટે રાહતકામો ચાલુ કરવામાં આવે.
8. ગામડાઓ, નગરપાલિકાઓમાં નિયમિત શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે.

શ્રી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, “એક બાજુ ગુજરાતનો ખેડૂત વરસાદ માટે આકાશ સામે જોઈ રહ્યો છે, બીજી બાજુ સરકારના મુખ્યમંત્રી ક્યારેક દિલ્હી તો ક્યારેક વિદેશના પ્રવાસે જોવા મળે છે અને નાયબ મુખ્યમંત્રી રીલ્સ બનાવવામાં વ્યસ્ત જોવા મળે છે. સરકારને કહેવા માંગીએ છીએ કે પ્રવાસ કરો, પ્રચાર કરો, રીલ્સ બનાવો. પરંતુ પહેલા ગુજરાતના ખેડૂતના ખેતરે જાઓ. તેની આંખોમાં રહેલી ચિંતા જુઓ, તેની જમીનની સ્થિતિ જુઓ અને તેની પીડા અનુભવો.”
ખેડૂત બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો ગામડું બચશે અને ગામડું બચશે તો ગુજરાત બચશે. તેથી સરકાર તાત્કાલિક ખેડૂત રાહત પેકેજ જાહેર કરે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરે.
ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષશ્રી જયેશ પટેલે જણાવ્યું હતું કે ઓછા વરસાદના કારણે ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ રહ્યા છે. સરકાર તાત્કાલિક ખેડૂત અને ખેતી બચાવવા રાહત પગલાં ભરે. કિસાન કોંગ્રેસ દ્વારા ઓછા વરસાદવાળા જિલ્લાઓ અને તાલુકાઓમાં ખેડૂતોને ન્યાય અને રાહત મળે તે માટે તા. ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.
કિસાન કોંગ્રેસના અગ્રણીશ્રી પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે સરકારે સૌની યોજના દ્વારા ૧૦૭ ડેમ ભરવાની વાતો કરી હતી. આજે ઓછા વરસાદની વિકટ પરિસ્થિતિમાં આ યોજનાનો ખેડૂતોને વાસ્તવિક લાભ ક્યાં મળ્યો તે અંગે સરકાર જવાબ આપે. ખેડૂતોને પાણી, સિંચાઈ અને રાહતના મુદ્દે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા કરે.
આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશી, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી વી.કે. હુંબલ, પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રામભાઈ મારુ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા પેનલિસ્ટ શ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.

Sajjadali Nayani ✍ 
Friday World 2 Sep 2026

(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા