રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને ખખડાવ્યા
રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જુલાઈ, 2024માં કહ્યું હતું કે, અમે ગુજરાતમાં મોદી અને ભાજપને હરાવીશું. જો કે, ગત વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે. ત્યારબાદ હવે રાહુલ ગાંધી ભાજપને તેના જ મજબૂત ગઢ ગુજરાતમાં ઘેરવા માગે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના એપ્રિલમાં થનારા બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનના એક મહિના પહેલા ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા છે, જેથી અધિવેશનમાં તેના અનુરૂપ રણનીતિ બનાવી શકાય. જો કે, ગુજરાતમાં યોજાયેલી બેઠકોમાં કાર્યકર્તાઓનો રોષ જોવા મળ્યો હતો.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 400થી વધુ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અહીં તેમણે શહેર-જિલ્લા પ્રમુખો, તાલુકા-નગર પ્રમુખો સાથે રાજ્યની મુખ્ય સમસ્યા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનની વર્તમાન સ્થિતિ અંગે પણ ગહન ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને લઈને ખુબ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તમામ સિનિયર કોંગ્રેસ આગેવાનોને કેટલાક સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતાઓને ખખડાવ્યા હતા. ગુજરાતની ચૂંટણીઓમાં કારમી હારને લઈને સિનિયર નેતાઓનો ઉધડો લીધો હતો.
ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા
ગુજરાતમાં કોંગ્રેસ વર્ષ 1995થી સત્તાથી દૂર છે. તેવામાં હવે રાહુલ ગાંધી ગુજરાતમાં વધુ સક્રિય થતા નજરે પડી રહ્યા છે. પરંતુ ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓ શીર્ષ નેતૃત્વથી સંતુષ્ટ ન હોવાનું આજે જોવા મળ્યું છે. રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજેલી બેઠકમાં કાર્યકરોનો આક્રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ સંગઠનને બદલવા માગ ઉઠી. કેટલાક આરોપ લગાવાયા છે અને કેટલીક માગ પણ રજૂ કરાઈ છે. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજૂઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે.
રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્યના શીર્ષ નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા હતા. શીર્ષ નેતૃત્વને કારણે ગુજરાતમાં પાર્ટીનું પતન થઈ રહ્યું હોવાની વાત કરી હતી. એક કાર્યકર દ્વારા ગણતરીના નેતાઓનું જ કોંગ્રેસમાં ચાલતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસનું નેતૃત્વ કરે તેવા શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, હિમંત સિંહ પટેલ, મધુસુદન મિસ્ત્રી સિવાય કોઈ ચહેરા મળતા જ નથી. એટલા માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં ખતમ થઈ રહી છે.
અન્ય એક કોંગ્રેસ કાર્યકરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટીમાં વ્હાલાદવલાની નીતિના કારણે કોંગ્રેસ ક્યારે ઉભી થતી જ નથી. પાર્ટીમાં આંતરિક વિખવાદના કારણે પાર્ટી તૂટી રહી છે.
કાર્યકર્તાઓ દ્વારા ગેનીબેનના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. કાર્યકર્તાઓના અનુસાર, લોકસભાની ચૂંટણી વખતે ગેનીબેન ઠાકોરને હરાવવાના કોંગ્રેસના જ નેતાઓ દ્વારા ખુબ પ્રયાસો થયા હતા, જો કે તેઓ જીતી ગયા. ગેનીબેનને હરાવવા આંતરિક ખેંચાખેંચી થઈ હતી.
તાલુકા કક્ષાના નેતાઓને ટોચના નેતા ઓળખતા નથી' તો સમયસર મળતા પણ નથી લગભગ બધા નેતા ના ફોન નોટ રીચેબલ હોય કાર્યકર્તાઓ સંપર્ક વિહોણા
ગુજરાત કોંગ્રેસના તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠકમાં સંગઠન અંગે તાલુકા પ્રમુખોએ નારાજગી વ્યક્ત કરતા બળાપો કાઢ્યો હતો. તેમણે સંગઠનમાં બદલાવ અંગે માગ કરી હતી. આ બેઠકમાં કાર્યકરોએ કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ અને શીર્ષ નેતાઓ તાલુકા કક્ષાના નેતાઓને ઓળખતા નથી. તાલુકા પ્રમુખોની રજૂઆત તરીકે અમને નીચેના માણસોને સાંભળનારો માણસ જોઈએ છે. જે ફૂટેલા અને ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે તેમનું જ ચાલે છે. નાના માણસોનું ચાલે તે દિશામાં આગળ વધવું જોઈએ.
ગદ્દારોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ
સંગઠનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનાર ગદ્દારોને હાંકી કાઢવામાં આવે તેવી પણ તાલુકા પ્રમુખોએ રજૂઆત કરી હતી. આ સાથે સંગઠનમાં જે ગદ્દારો છે તેમની વિરુદ્ધ પગલા લેવાની પણ રાહુલ ગાંધીને રજૂઆત કરાઈ છે. પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે મોકલવા પણ કાર્યકરોએ માંગ કરી હતી.