રીંગણ લઉ બે ચાર ? લેને ભાઈ દશ બાર... આ કહેવત ગુજરાતનો એક એક વ્યક્તિ સારી રીતે જાણે છે. બિલકુલ આ જ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ હાંસીપાત્ર કોડીનારમાં બન્યુ .છે ચાની દુકાનમાં છુટક મજૂરી કરતા આસિફ શેખ નામના વ્યક્તિને ઇન્કમટેક્ષ વિભાગે 115 કરોડ 92 લાખ રૂપિયાની નોટિસ 1 કે 2 વખત નહીં પરંતુ 3 વખત ફટકારતા આસિફ શેખનો પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. અલગ અલગ સમયે ત્રણ નોટિસ મળતા અંતે આસિફ શેખે બેંક અને પોલીસનો સહારો લઈને તેમને આપવામાં આવેલી નોટિસમાં મદદરૂપ થવાની ગુહાર કરી છે.
ઇન્કમટેક્સ વિભાગની દલા તરવાડીની નીતિ
ઇન્કમટેક્સ વિભાગ નોટિસ ફટકારવામાં અજબ ગજબનું પરાક્રમ અગાઉ દેખાડી ચૂકી છે. આ જ પ્રકારનું પ્રદર્શન ઇન્કમટેક્સ વિભાગે વધુ એક વખત બતાવ્યું છે. ચાની હોટલમાં કામ કરતા કોડીનારના આસિફ શેખ નામના મજુરને ઇન્કમટેક્સ વિભાગે એક બે ત્રણ નહીં પરંતુ 115 કરોડ 92 લાખ રૂપિયાનો ઇન્કમટેક્સ ચૂકવવાની નોટિસ ફટકારતા આસિફ શેખનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. મજુરને 115 કરોડ કરતાં વધારેની નોટિસ મળ્યાની વાત કોડીનાર શહેરમાં વાયુ વેગે ફેલાતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સમગ્ર શહેરમાં હાંસીને પાત્ર પણ બન્યું છે. જોકે અહીં બીજી બાજુ કેટલાક લોકો એવો પણ તર્ક રજૂ કરી રહ્યા છે કે વિભાગ નહીં પરંતુ આ ઘટનામાં વ્યક્તિના ડોક્યુમેન્ટનો કોઈ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે.
બેંકમાં હજાર રૂપિયાથી ઓછી રકમ નોટિસ મળી 115 કરોડની
આસિફ શેખ નામનો વ્યક્તિ કોડીનાર શહેરમાં આવેલી ચાની હોટલમાં પાછલા 20 વર્ષથી દૈનિક છૂટક મજૂરીથી કામ કરી રહ્યો છે. એક મહિનામાં આઠથી દસ હજાર રૂપિયાનું કામ તે આ પ્રકારે છૂટક મજૂરી કરીને મેળવી રહ્યો છે. તેમ છતાં તેને થોડી ઘણી નહીં પરંતુ 115 કરોડ 92 લાખની નોટિસ આપી દીધી આસિફ શેખ પાસે જ્યારે નોટિસ પહોંચી ત્યારે તેના બેન્ક ખાતામાં 1,000 કરતાં પણ ઓછી રોકડ જમા હતી. 115 કરોડની નોટિસ મળ્યા બાદ આસિફ શેખે સમગ્ર મામલાની જાણ તેની બેંકમાં અને સ્થાનિક પોલીસ મથકમાં કરીને ઇન્કમટેક્સ વિભાગની જે નોટિસ તેને પ્રાપ્ત થઈ છે. તેમાં તેનું માર્ગદર્શન કરવા અને મદદ કરવાની ગુહાર પણ આસિફ શેખે લગાવી છે.
અભણ મજુર પાસે કોઈ મિલકત નહીં
આસિફ શેખે વિનંતિ પત્ર લખ્યો છે. કોડિનાર પોલીસના પોલીસ ઈન્સપેક્ટરને વિનંતિ પત્ર લખાયો છે જેમાં તેણે કહ્યું છે કે, પોતે અભણ છે. કોડીનાર શહેરમાં તેની કોઈ સ્થાવર કે જંગમ મિલકતની સાથે બેંકમાં કોઈ મોટું બેંક બેલેન્સ નથી, તેમ છતાં ઇન્કમટેક્સ વિભાગે આટલી મોટી રકમની નોટિસ ફટકારતા સમગ્ર મામલો તપાસનો વિષય પણ આગામી દિવસોમાં બની શકે છે. ઇન્કમટેક્સ વિભાગ સામાન્ય રીતે નોટિસ ફટકારતા પૂર્વે જે તે વ્યક્તિના આર્થિક વ્યવહારોની ખૂબ જ ગંભીરતા સાથે ચકાસણી કરીને તેને નોટિસ ફટકારતી હોય છે. ઘણા કિસ્સાઓમાં આ પ્રકારની ભૂલ પણ ઇન્કમટેક્સ વિભાગની સામે આવી છે. જેમાં વ્યક્તિની આવકની સામે તેને હજારો કરોડ રૂપિયાના ઇન્કમટેક્સ ચૂકવવાની નોટિસ આપવામાં આવી હોય આ જ પ્રકારનો કિસ્સો કોડીનારમાં પણ સામે આવ્યો છે. હવે જ્યારે સમગ્ર મામલો ઇન્કમટેક્સ વિભાગમાં ખુલ્લો થશે ત્યારે આસિફ શેખને આપવામાં આવેલી નોટિસ કોઈ ભૂલથી અપાઈ છે કે તેની પાછળનું કોઈ કારણ છે તે સામે આવશે, પરંતુ સમગ્ર મામલામાં ઇન્કમટેક્સ વિભાગ સિવાય અન્ય કોઈ એજન્સી ખુલાસો કરી શકે તેવી શક્યતા પણ બિલકુલ નહીંવત છે.