કાશ્મીરમાં નિર્દોષ ટુરિસ્ટો પર બર્બર આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં આક્રોશ છે. આ ઘટનાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીએકવાર તણાવ સર્જાયો છે. તણાવની આ સ્થિતિ છતાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા ગુજરાતના ગામોનો મિજાજ તદ્દન સામાન્ય છે. ભૌગોલિક સ્થિતિ, ભારતીય સૈન્યની સજ્જતા તથા ગ્રામજનો સાવધ હોવાથી આ વિસ્તારોની શાંતિને કોઈ અસર થઈ નથી.
પૂર્વ છેડે બન્ને યુદ્ધમાં એકપણ ગામ ખાલી કરાયા નહોતા
કચ્છના પૂર્વ છેડે રણકાંધીએ આવેલા અંતિમ ગામ અને આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 40 કિમી દૂર એવા બેલા ગામની મુલકાત લેતા ચોમેર શાંતિ જોવા મળી હતી. આ ગામની ફરતે ચારે બાજુ ડુંગરો હોવાથી કુદરતી રીતે સુરક્ષિત છે. કચ્છની સરહદે પાકિસ્તાનના કાસબો, ઘેટીયારી, મોજરો, લાકડ ખડ્યો, સુરચંદ, અધિગામ સહિદના ગામો છે. બીજી બાજુ મીઠી જિલ્લો આવેલ છે. ત્યા મોટાભાગે ખેતરો છે. કેટલીક જગ્યાએ જંગલો છે જેમાં પાકિસ્તાની રેન્જર્સના કેમ્પ છે. બેલાના લક્ષમણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અહીં 1965/71 ના બન્ને યુદ્ધ વખતે પણ ગામો ખાલી કરવાની નોબત નહોતી આવી.
ક્રિક વિસ્તારમાં માછીમારો નિશ્ચિંત, કારણ કે ભારતીય આર્મી એલર્ટ છે જ્યાંથી પાકિસ્તાન બોર્ડર રણ માર્ગે માત્ર 20 કિલોમીટર થાય તે લખપત ગામની ભાસ્કરે મુલાકાત લીધી હતી. લખપત ગામ અગ્રણી તેમજ 65 અને 71નું યુદ્ધ જોઈ ચૂકેલા ઓસમાન નોતિયારે જણાવ્યું હતું કે લખપતમાં બધું સામાન્ય છે. કોટેશ્વર સહિતના દરિયાઇ ગામોમાં અગાઉની જેમ જ સાગર ખેડૂત પોતાની બોટો દ્વારા માછીમારી કરી રહ્યા છે. મંડળીના પ્રમુખ આરભ ભડાલાએ જણાવ્યું હતું કે માછીમારો સાગર ખેડી રહ્યા છે.
સૂઈગામ નજીક 71’ના યુદ્ધની સાક્ષી પુરતા બંકરો આજે પણ યથાવત ભારત પાકિસ્તાન સરહદે આવેલા પાકિસ્તાનના નગર પારકર પંથકમાં મોટા ભાગના ગામડાઓ હિન્દુ વસ્તી ધરાવતા છે. ઝીરો લાઈન નજીક આવેલા કસ્ટમ રોડ પરના ગામોમાં વસવાટ કરતા લોકોમાં કોઈ ફરક જોવા મળ્યો નથી. કસ્ટમ રોડ સુઈગામથી માવસરી સુધી ડાબી સાઈડ અફાટ રણ છે. નડેશ્વરી માતાના ભગત અરજણભાઇ પટેલે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયનું વર્ણન કરતાં જણાવ્યું કે ‘તે સમયે ગામડે ગામડે એક પોલીસ જવાન રહેતો. ને શેરીએ શેરીએ લોકોને રાતે દીવા ના કરવા કહેતો. અહીંના લીમડાબેટમાં 1971 વખતના યુદ્ધના બંકરો આજે પણ હયાત છે. રાધાનેસડા ગામની સરહદે પાકિસ્તાન વિસ્તારના છાછરા અને સિંધપારકર મોળાવા ડુંગર આવેલો છે.”