ભાવનગરમાં ફૂડ પોઈઝનિંગનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા મંડળની બહેનો હોટલમાં જમવા જતા તેમાંથી 30થી 40 બહેનો ડાયેરિયાનો ભોગ બની હતી.
શહેરમાં અનેક રેસ્ટોરન્ટ આવેલી છે અને શનિવાર- રવિવારમાં લોકો પરિવાર સાથે વિવિધ ભોજનનો સ્વાદ પણ લેવા જાય છે. ત્યારે એક કિસ્સો ફૂડ પોઇઝનિંગનો સામે આવ્યો છે. શહેરમાં 100 બહેનોનું મંડળ રેસ્ટોરન્ટમાં ગયું હતું અને બીજા દિવસે 30થી 40 બહેનો ડાયેરિયાનો ભોગ બન્યા હતા. ફરિયાદો થયા બાદ મહાનગરપાલિકાએ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે ચકાસણી કરી તો કેટલીક અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ત્યારે શું પગલા લેવાયા? તમે રેસ્ટોરન્ટમાં જાવ તો ખાસ ધ્યાન રાખજો.
ભાવનગર શહેરમાં સ્ત્રી નિકેતન મહિલા મંડળના વાર્ષિક સભાનું રેસ્ટોરન્ટમાં આયોજન યોજવાનું નક્કી થયું હતું. ત્યારે શહેરમાં આવેલી કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં મહિલાઓનું વાર્ષિક સભાનું આયોજન થયું હતું. આ વાર્ષિક સભાને લઈને અને બનાવ પગલે સ્ત્રી નિકેતન મહિલા મંડળના મંત્રી પુષ્પાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, અમારા મંડળનો સ્થાપના દિવસ હતો. એટલે અમે નક્કી કર્યું હતું કે, હોટલમાં જમવા જઈએ. તેથી અમે હોટલમાં કાર્યક્રમ નક્કી કર્યો હતો. ત્યાં અમે ગેમ રમ્યા, અંતાક્ષરી રમ્યા પછી જમવા બેઠા હતા. હોટલનું જમવાનું પણ સારું હતું.
વહેલી સવારથી 30 થી 40 બહેનોના ફોન આવવા લાગ્યા. હું મંડળની મંત્રી છું એટલે બધા મને જ કહેને, દરેકે કહ્યું કે, અમને ડાયેરિયા થઈ ગયા છે અને પેટમાં ચૂંક આવે છે. તેથી મેં રેસ્ટોરન્ટવાળાને ફોન કર્યો હતો. ત્યાં તેઓએ કહ્યું કે, અમારું ભોજન સારુ જ છે. ત્યારબાદ મેયર ભરતભાઈ બારડને ફોન કર્યો અને તેમને આરોગ્ય અધિકારી આર.કે. સિંહા સાહેબને કહીને એક ટીમ તપાસ માટે મોકલી હતી
આરોગ્ય વિભાગની ટીમ તપાસમાં ગયા બાદ ચોંકાવનારી વસ્તુઓ સામે આવી હતી. ત્યાં સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય અધિકારી ડો આર. કે સિન્હાએ જણાવ્યું હતું કે, અમને શનિવારના રોજ સાંજે ફોન આવ્યો હતો કે, એક દિવસ પહેલા મહિલાઓ જમવા ગઈ હતી. તે કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં અમે ફૂડ ઈન્સ્પેક્ટર મોકલ્યા હતા. રસોડાની તપાસ કરી તો 2થી 3 કિલો મરી મસાલા એક્સપાયરી ડેટ વાળા મળ્યા હતા. જેનો અમે નાશ કર્યો હતો. તૈયાર ભોજનના અમે સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે. જો આ હોટલની અન્ય કોઈ શાખા છે. તેની અમને જાણ નથી. અમારી ટીમ સમયાંતરે મરી મસાલાના સેમ્પલ લેતી હોય છે.
સેમ્પલ લઈને હાલ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેને લઈને ડો. આર. કે. સિન્હાએ જણાવ્યું હતું કે, અમે જે સેમ્પલ મોકલ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ નક્કી થાય. કારણ કે, રિપોર્ટ સ્ટાન્ડર્ડ છે કે સબ સ્ટાન્ડર્ડ તેના ઉપર બધો આધાર છે. સબ સ્ટાન્ડર્ડ આવે તો આગળની કાર્યવાહી થઈ શકે છે. તેમાં અનસેફ આવે તો ફોજદારી કાર્યવાહી સુધીની પણ જોગવાઈ છે.