પાલડી ગામમાં દૂધેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ ન અપાયું
ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય હોવા છતાં, તેનો ગ્રામ્ય વિસ્તાર હજુ પણ સામાજિક ભેદભાવના પ્રશ્નથી અછૂત નથી. આજે પણ અનેક ગામોમાં દલિત સમુદાય જાતીય ભેદભાવનો ભોગ બને છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પાલડી ગામમાં દલિત સમુદાય સામે ભેદભાવની ઘટના બની છે. આ ઘટનામાં ચોંકવનારી વાત એ છે કે પાલડી ગામના સરપંચ દલિત સમુદાયમાંથી આવે છે. સરપંચે આ મામલે 20 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગામના ધાર્મિક પ્રસંગમાં દલિત સમુદાયને આમંત્રણ ન આપી સામેલ ન કરવાનો આરોપ ડીસા તાલુકાના પાલડી ગામમાં નવા બનેલા દૂધેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 28થી 30 એપ્રિલ દરમિયાન યોજાયો હતો. આ મહોત્સવમાં પાલડી ગામના અને આજુબાજુના ગામોના લોકોને આમંત્રણ અપાયું હતું. ગામની અન્ય જ્ઞાતિની કુંવારીકાઓને તાંબાના લોટા આપીને ઓઢામણા કરવામાં આવ્યા હતા. પરંતુ દલિત સમુદાયને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો હતો. આ ધાર્મિક ઉત્સવમાં દલિત સમુદાયને આમંત્રણ ન આપવાનો આરોપ છે.
અમને હિન્દૂ પણ ગણવામાં નથી આવ્યાં અને માણસ પણ ગણવામાં નથી આવ્યાં. આ ગામમાં અમે રહેવા લાયક નથી : સરપંચ પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણ પોતે દલિત સમુદાયના છે. આ સમગ્ર મામલે તેમણે ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે આ ધાર્મિક ઉત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરું રચીને દલિત સમુદાયનો બહિષ્કાર કર્યો હતો. સરપંચ પોતે દલિત સમુદાયના છે અને ગામના જવાબદાર વ્યક્તિ હોવા છતાં તેમની સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હતો. દલિત સમુદાયને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો હતો.
ન્યાય નહીં મળે તો અમે ધર્મ પરિવર્તન કરીશું : સરપંચ સરપંચે જણાવ્યું કે મહોત્સવમાં વિક્ષેપ ન પડે તે માટે તે સમયે ફરિયાદ કરી ન હતી. જો કે, હવે સમુદાય સાથે થયેલા અત્યાચાર અંગે તેમણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દલિત સમાજે ચેતવણી આપી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ધર્મ પરિવર્તન કરશે.
આ ઘટનાને પગલે દલિત સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરપંચ બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અપનાવી લેશે. તેમણે આ મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સરપંચની ફરિયાદના આધારે પોલીસે 20 લોકો સામે FIR નોંધી આ ઘટના ડીસા તાલુકામાં જાતિગત ભેદભાવની કડવી વાસ્તવિકતાને ફરી એકવાર ઉજાગર કરે છે. પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણે ભીલડી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદના આધારે પાલડી ગામના આ 20 જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટ અનુસાર પોલીસ ફરિયાદ નોંધી છે
આરોપીઓના નામ
(1) રબારી નાથાભાઈ ચેલાભાઈ
(2) રબારી રેવાભાઈ વેલાભાઈ
(3) રબારી રેવાભાઈ ભીખાભાઈ
(4) રબારી પીરાભાઈ ધુડાભાઈ
(5) રબારી જામાભાઈ ચેલાભાઈ
(6) રબારી લક્ષ્મણભાઈ ગોવાભાઈ
(7) રબારી ડાયાભાઈ વીહાભાઈ
(8) રબારી(ખાંભલ્યા) ધુડાભાઈ મશરૂભાઈ
(9) રબારી બાબુભાઈ મલાભાઈ કાનાભાઈ
(10) રબારી(ચેલાણા) સાગરભાઈ નારણભાઈ
(11) રબારી(ચેલાણા) મોહનભાઈ મલાભાઈ
(12) રબારી બાબુભાઈ મલાભાઈ સવદાશભાઈ
(13) રબારી ઈશ્વરભાઈ જગાભાઈ પાંચાભાઈ
(14) રબારી(ચેલાણા) મોતીભાઈ દાંના ભાઈ
(15) રબારી બાબુભાઈ ધુડાભાઈ
(16) રબારી ભાવેશભાઈ ઈશ્વરભાઈ
(17) રબારી ઈશ્વરભાઈ ચેહરાભાઈ
(18) રબારી કલ્યાણભાઈ વશાભાઈ
(19) રબારી (ભુભળીયા) ડાયાભાઈ ચેલાભાઈ
(20) રબારી રેવાભાઈ પીરાભાઈ