Wednesday, 28 May 2025

દલિત થઈને મારા દીકરાને 'બેટા' કેમ કહ્યું કહીને મારા પુત્રને મારી નાખ્યો' 20 વર્ષીય યુવાનની હત્યા બાદ પિતાનું દુ:ખ

દલિત થઈને મારા દીકરાને 'બેટા' કેમ કહ્યું કહીને મારા પુત્રને મારી નાખ્યો' 20 વર્ષીય યુવાનની હત્યા બાદ પિતાનું દુ:ખ
મૃતક નીલેશના પિતા કાંતિભાઈ રાઠોડનું કહેવું છે કે તેમના દીકરાએ આરોપીના પુત્રને 'બેટા' કહેતા આરોપી ગુસ્સે થયો હતો

સરકાર મારી પરિસ્થિતિ જુએ, મારા છોકરાનો મૃતદેહ ચાર દિવસથી પડ્યો છે. મેં ખાધું નથી. બોલવાનુંય ભાન નથી."

"મારા દીકરાને આ લોકોએ દોડાવી દોડાવીને માર્યો. તેના હાથ પગ પકડી અને રોડ પર પછાડી પછાડીને માર્યો. આરોપીઓ કહી રહ્યા હતા કે તારાથી બેટા કઈ રીતે કહેવાય. "

ભાવનગરની સર ટી. હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમની સામે બેઠેલા આશરે 55 વર્ષના કાંતિભાઈ રાઠોડ પોતાના 20 વર્ષીય પુત્ર નીલેશભાઈની કથિત હત્યા બાદ હવે સરકાર પાસેથી ન્યાયની માગ કરતાં કંઈક આ વાત કરે છે.

અમરેલીના ઝરખિયા ગામના કાંતિભાઈ ઉનાળાની બળબળતી ગરમીમાં પોતાના પરિવારજનો અને કેટલાક દલિત આગેવાનો સહિત 'ન્યાયની માગ' સાથે બેઠા છે. તાપથી લગભગ દાઝી ગયેલા તેમના ચહેરા પર યુવાન દીકરો ગુમાવ્યાનું દુ:ખ સ્પષ્ટ દેખાઈ આવે છે.

તેમનો આરોપ છે કે ગત 16 મેના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી એક દુકાન પર વેફરનું પૅકેટ ખરીદવા પહોંચેલા તેમના યુવાન દીકરા નીલેશભાઈ રાઠોડે દુકાનદારના દીકરાને 'બેટા' કહેતાં ગુસ્સે ભરાયેલા પિતાએ 10-15 અન્ય આરોપીઓ સાથે મળીને તેમના પુત્રને ક્રૂર માર માર્યો હતો. જે બાદ ગત 22 તારીખે તેમના પુત્રનું ભાવનગરની સર ટી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કથિતપણે થયેલી એક માથાકૂટ એટલી વધી ગઈ હતી કે તેમાં દુકાનદાર સહિતના કેટલાક લોકોએ એક દલિત યુવાનનું મૃત્યુ નિપજાવી નાખ્યું હતું

પોલીસ ફરિયાદ અનુસાર આ ઘટનામાં ફરિયાદી પક્ષના કેટલાક અન્ય લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી.

કાંતિભાઈએ કહ્યું હતું કે તેમની પાંચ માગો પૈકી ચાર માગ સંતોષાઈ છે, પરંતુ સરકાર પાસેથી જમીનની માગ હજુ સુધી નથી સ્વીકારાઈ.

તેઓ કહે છે કે, "જમીનની માગ નથી સ્વીકારાઈ. તેથી અમે અહીંથી મૃતદેહ લઈને મુખ્ય મંત્રીના બંગલે જવાના છીએ."

નોંધનીય છે કે હાલ મૃતદેહ ભાવનગરની સર ટી. હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમમાં જ રાખવામાં આવ્યો છે.

પોલીસે આ સમગ્ર ઘટનામાં ભારતીય ન્યાય સંહિતા અને ઍટ્રોસિટી ઍક્ટની લાગતીવળગતી કલમો અંતર્ગત ગુનો નોંધી કુલ દસ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

ગુજરાત કૉંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ પીડિત પરિવારની મુલાકાત લઈને ગુજરાત સરકાર પાસેથી પીડિત પરિવારને ચાર-ચાર એકર જમીનની ફાળવણી કરવાની માગ કરી હતી. આ સિવાય તેમણે આ મામલામાં તાત્કાલિક પગલાં ભરી આ કેસમાં સરકાર 'આરોપીઓનાં ઘરો પર બુલડોઝર' ફેરવી બતાવે તેવો પડકાર ફેંક્યો હતો.