સિંગાપોરમાં IISS શાંગરી-લા ડાયલોગ 2025માં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ (ડાબે) યુરોપિયન અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે.
સિંગાપોરમાં બ્લૂમબર્ગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણને સવાલ કર્યો હતો કે શું પાકિસ્તાને સંઘર્ષ દરમિયાન ભારતીય જેટ તોડી પાડ્યાં હતાં? શું તમે આની ખાતરી કરી શકો છો?
આના જવાબમાં CDS ચૌહાણે કહ્યું- હકીકત મુદ્દો એ નથી કે કેટલાં વિમાનો પડ્યાં, પણ એ છે કે એ શા માટે પડ્યાં અને આપણે એમાંથી શું શીખ્યા. ભારતે પોતાની ભૂલોને ઓળખી, એને ઝડપથી સુધારી અને પછી બે દિવસમાં ફરી એકવાર લાંબા અંતરથી દુશ્મનનાં સ્થળોને નિશાન બનાવ્યાં અને અસરકારક રીતે જવાબ આપ્યો,
રિપોર્ટરે તેમને પૂછ્યું- પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે 6 ભારતીય જેટ તોડી પાડ્યાં છે, શું આ સાચું છે?
આના જવાબમાં CDS ચૌહાણે કહ્યું- ગણતરી મહત્ત્વની નથી, પણ એ મહત્ત્વનું છે કે આપણે શું શીખ્યા અને કેવી રીતે સુધારો કર્યો.
CDS ચૌહાણે એ પણ સ્પષ્ટતા કરી કે આ સંઘર્ષમાં ક્યારેય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર પડી ન હતી, જે રાહતની વાત છે.
આ પહેલાં 12 મેના રોજ એર માર્શલ અવધેશ કુમાર ભારતીને પૂછવામાં આવ્યું હતું કે શું ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું કે એને તોડી પાડવામાં આવ્યું?
આ અંગે એર માર્શલ ભારતીએ કહ્યું હતું કે હાલ હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી,
યુદ્ધમાં ખોટી માહિતી અને અફવાઓ એક મોટો પડકાર'
CDS ચૌહાણે કહ્યું હતું કે આજકાલ યુદ્ધમાં બીજો એક પડકાર છે- ખોટી માહિતી અને અફવાઓ. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ આપણા સૈનિકોને ખોટા સમાચાર સામે લડવામાં ઘણો સમય પસાર કરવો પડ્યો હતો. ભારતની રણનીતિ કોઈપણ ઉતાવળ વિના અને નક્કર તથ્યો સાથે પોતાનો મુદ્દો રજૂ કરવાની છે.
ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ઓપરેશનના શરૂઆતના દિવસોમાં બે મહિલા અધિકારીઓ મીડિયા સાથે વાત કરી રહી હતી, કારણ કે એ સમયે વરિષ્ઠ અધિકારીઓ વાસ્તવિક ઓપરેશનમાં વ્યસ્ત હતા.
સાયબર યુદ્ધ અંગે પણ તેમણે કહ્યું હતું કે ભલે બંને દેશોએ એકબીજા પર સાયબર હુમલા કર્યા હોય, પરંતુ ભારતની લશ્કરી પ્રણાલીઓ ઇન્ટરનેટ સાથે જોડાયેલી નથી અને તેથી તેઓ સુરક્ષિત રહ્યા.
તેમણે કહ્યું હતું કે ભારતે યુદ્ધ પછી તરત જ પીછેહઠ કરી, કારણ કે લાંબા સમય સુધી સૈનિકોને તહેનાત રાખવાથી આર્થિક રીતે બોજ પડતો હતો અને વિકાસમાં અવરોધ આવતો હતો.