ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નવો વળાંક આવ્યો છે। શનિવારે સવારે ઈઝરાયેલે તેહરાનના ગિશા વિસ્તરમાં મિસાઈલ હુમલો કર્યો, જેમાં એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત થયું। આ હુમલા ઈઝરાયલી સેના (IDF) દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હોવાનો ઈઝરાયલી મીડિયા દાવો કરે છે। ઈઝરાયલી અધિકારીએ જણાવ્યું કે, “આ હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવા માટે હતો।” જોકે, ઈરાન સરકારે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી।
ઈરાનના રાષ્ટ્રપ્રમુખની કડક ચેતવણી
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયને ઈઝરાયલને કડક ચેતવણી આપતાં કહ્યું, “ઈઝરાયલે તાત્કાલિક હુમલા રોકવા જોઈએ, નહીં તો અમે જડબાતોડ જવાબ આપીશું।” ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, “જ્યાં સુધી ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે, ત્યાં સુધી અમેરિકા કે અન્ય કોઈ દેશ સાથે વાતચીત શક્ય નથી।” ઈરાને યુદ્ધ અટકાવવા માટેની કોઈપણ ચર્ચા આવી પરિસ્થિતિમાં અશક્ય ગણાવી છે।
IAEAના ચીફનું યુ-ટર્ન
ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ચીફ રાફેલ ગ્રોસીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધું છે। તેમણે અગાઉ દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે, પરંતુ હવે તેમણે કહ્યું, “ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું હોવાના કોઈ પુરાવા નથી।” નોંધનીય છે કે, IAEAના રિપોર્ટ અને ગ્રોસીના નિવેદન બાદ જ ઈઝરાયલે હુમલા તેજ કર્યા હતા।
ઈરાનનો વળતો હુમલો
ઈરાને પણ ઈઝરાયલ પર વળતા હુમલા કર્યા છે। ઈરાને ગુરુવારે ઈઝરાયલની એક હોસ્પિટલ સહિત અનેક સ્થળો પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા। ઈરાનની એક મિસાઈલ ઈઝરાયલના મધ્યમાં 7 કિલોમીટરની ઊંચાઈએ વિસ્ફોટ થઈ, જેના કારણે તેમાં રહેલા 20 ક્લસ્ટર બોમ્બ 8 કિલોમીટરની ત્રિજ્યામાં વિખેરાઈ ગયા અને તબાહી મચાવી।
ઈઝરાયલના માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ
ઈઝરાયલે પેલેસ્ટાઈન પર ક્લસ્ટર બોમ્બથી હુમલા કર્યા હોવાનો આરોપ છે, જેમાં 50,000થી વધુ બાળકો અને મહિલાઓના મોત થયા હોવાનું કહેવાય છે। આ હુમલાઓને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવતાં ઈરાને ઈઝરાયલની ટીકા કરી છે। ઈરાનનું કહેવું છે કે, ઈઝરાયલ જ્યારે પોતે માનવતાને ભૂલીને હુમલા કરે છે, ત્યારે તેને માનવાધિકાર યાદ નથી આવતા, પરંતુ ઈરાનનો વળતો જવાબ આપવાની વાત આવે ત્યારે તેને બધું યાદ આવે છે।
આ ઘટનાઓથી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, અને આંતરરાષ્ટ્રીય સમુદાય આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે।