Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 9 June 2025

રાજ-ઉદ્ધવ સાથે આવે તે પહેલા એકનાથ શિંદેએ કર્યો મોટો ખેલ, રાજ ઠાકરેને ધક્કો

રાજ-ઉદ્ધવ સાથે આવે તે પહેલા એકનાથ શિંદેએ કર્યો મોટો ખેલ, રાજ ઠાકરેને ધક્કો
મહારાષ્ટ્રના રાજકારણમાં બે જૂથમાં વહેંચાયેલા પ્રાદેશિક પક્ષો અને ત્રણ ત્રણ પક્ષોની સરકાર અને વિરોધીપક્ષને લીધે કંઈને કંઈ ખળભળાટ થતા રહે છે. કુલ છ પક્ષ સાથે વધારે એક પક્ષ ચર્ચામાં છે અને તે છે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે). હાલમાં બે છુટ્ટા પડેલા પિતરાઈ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા બન્ને ભાઈઓ એક થાય અને મરાઠીભાષીઓને ન્યાય અપાવે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. આ બધા વચ્ચે શિવસેનાથી છૂટા પડેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દાવ રમી ગયા છે.
શિંદેની શિવસેનાએ મનસેના એકમાત્ર નગરસેવકને પોતાના પક્ષમાં લઈ લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેમના પક્ષપ્રવેશની તારીખ પણ નક્કી થઈ ગઈ હોવાના અહેવાલો છે.

વર્ષ 2017માં મનસેના સાત નગરસેવક ચૂંટાઈને આવ્યા હતા. આ સાતમાંથી છ ઠાકરેની શિવસેનામાં જોડાઈ ગયા હતા અને એક જ મનસેમાં રહ્યો હતો. હાલમાં તો પાલિકા ડિસોલ્વ થઈ ગઈ હોવાથી તેની પાસે નગરસેવકપદ નથી, પણ રાજ ઠાકરેનો આ એકમાત્ર નગરસેવક પણ શિંદેની સેનામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 2017માં કુર્લા વૉર્ડ નંબર 166માં સંજય તુરડે મનસે તરફથી લડ્યો હતો અને જીત્યો હતો. હવે તે આવનારા દિવસોમાં શિંદેની સેનામાં જોડાશે. મનસેના નગરસેવક તરીકે કામકાજ કરી શકતો ન હોવાનું અને ફંડ ન મળતું હોવાનું પણ તેણે જણાવ્યું હોવાનું અહેવાલો કહે છે.

વર્ષ 2012માં રાજ ઠાકરેના 28 નગરસેવક ચૂંટાઈને આવ્યા હતા. 2017માં ભાજપ અને શિવસેના અલગ લડ્યા અને મનસે પણ એકલો જ લડ્યો હતો. મનસેના 7 નગરસેવક વિજેતા થયા પણ સત્તા સ્થાપવા માટે ઉદ્ધવ ઠાકરેને 6 નગરસેવક જોઈતા હતા, આથી મનસેના છને ઠાકરેએ પોતાના પક્ષમાં લઈ લીધા.

હાલમાં મનસે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અસ્તિત્વની લડાઈ લડી રહી છે તો બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે માટે પણ મુંબઈ મહાનગરપાલિકાની સત્તા સાચવી રાખવાનું કરું છે. આથી બન્ને ભાઈઓ સાથે આવે તો મરાઠી માણુસનો મુદ્દો ફરી તેજ બને અને પાલિકા પર કબ્જો જમાવી શકાય તેવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. જોકે દરેક ચૂંટણી વખતે રાજ ઠાકરે અન્ય કોઈ પક્ષમાં જોડાશે તેવી અટકળો વહેતી મૂકાઈ છે, પરંતુ સરવાળે આમ બનતું નથી. આથી આવનારી ચૂંટણીમાં પણ આવો કોઈ ઘાટ ઘડાશે કે કેમ તે અમુક મહિનાઓ બાદ ખબર પડશે.