ગુજરાતના શહેરો દિવસેને દિવસે મેટ્રો સિટી તરફ વધી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. ગામડાઓમાં મોટા મોટા બંગલાઓ અને મકાનો છોડીને લોકો મોટા શહેરોમાં જઈ રહ્યા છે. ત્યારે જાણો આ પાછળનું કારણ શું છે.
સમસ્યા જે સરકાર ને દેખાતી જ નથી
આ સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ, સિંચાઈ યોજનાઓ અને શિક્ષણની સુવિધાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. જો ગામડાઓમાં રોજગારની તકો અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે, તો લોકો શહેરો તરફ સ્થળાંતર કરવાનું બંધ કરશે. અમરેલીના ગામડાઓને બચાવવા માટે સ્થાનિક સ્તરે પગલાં લેવાની તાતી જરૂરત છે, જેથી ગ્રામીણ જીવન ફરીથી ખીલી શકે.
ગ્રામીણ વિસ્તારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. લોકો ગામડાઓ છોડીને સુરત, અમદાવાદ જેવા મોટા શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. આનાં મુખ્ય કારણોમાં પાણીની અછત, શિક્ષણની સમસ્યાઓ અને ઔદ્યોગિક વિકાસનો અભાવ છે. સાવરકુંડલા તાલુકાના ગામડાઓ, ખાસ કરીને ધાર ગામ જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે. ગામડાઓની શેરીઓ સૂમસામ થઈ ગઈ છે, મકાનો પર તાળાં લાગી ગયાં છે, અને ગામની જીવંતતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે.
સાવરકુંડલાના ધાર ગામના રહેવાસી વિનુભાઈ ગુંદરીયા જણાવે છે કે, ગામ અને તેની આસપાસના વિસ્તારો ખારાપાટના વિસ્તારમાં આવે છે, જ્યાં પાણી ખારું છે. આ ભૌગોલિક સમસ્યા ખેતી અને રોજગારને અસર કરે છે. ધાર ગામની વસ્તી એક સમયે 3000થી વધુ હતી, પરંતુ હવે માત્ર 300 થી 400 લોકો જ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાકીના લોકો રોજગાર અને વ્યવસાયની શોધમાં શહેરો તરફ જઈ રહ્યા છે. ખેતી માટે પાણીની અછતને કારણે ખેડૂતો માત્ર ચોમાસામાં એક પાક લઈ શકે છે, અને બાકીના સમયમાં ખેતી શક્ય નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પણ ગામ છોડી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોનો અભાવ એ પણ એક મોટું કારણ છે. સાવરકુંડલા, રાજુલા અને અન્ય વિસ્તારોમાં રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. સામાજિક કાર્યકર ચિરાગ હિરપરા જણાવે છે કે, ગામડાઓમાં રોજગારના અભાવે લોકો શહેરો તરફ આકર્ષાઈ રહ્યા છે. ઘણાં ગામોમાં લાખો રૂપિયાના મકાનો ખાલી પડ્યા છે, અને ગામની શેરીઓ નિર્જન બની ગઈ છે. આ સ્થળાંતરનું પરિણામ એ છે કે, ગામડાઓની સંસ્કૃતિ અને સમુદાયનું જીવન ખતમ થઈ રહ્યું છે.
શિક્ષણની સમસ્યા પણ આ સ્થળાંતરને વેગ આપી રહી છે. વંડા અને આસપાસના 17-18 ગામોમાં ઉચ્ચ શિક્ષણ માટે કોલેજો ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે શહેરોમાં જવું પડે છે, અને તેમની સાથે વાલીઓ પણ શહેરમાં સ્થાયી થઈ જાય છે. આ રીતે, શિક્ષણની અછત ગામડાઓની વસ્તી ઘટાડવામાં મોટો ભાગ ભજવે છે.
ખારાપાટના વિસ્તારોમાં પાણીની ખારાશ એ એક મોટી ભૌગોલિક સમસ્યા છે. આ વિસ્તારોમાં ખેતી માટે પિયતની કોઈ યોજના ઉપલબ્ધ નથી, જેના કારણે પાક ઉત્પાદન ઘટી રહ્યું છે. ચોમાસા દરમિયાન થતી આકાશી ખેતી સિવાય બીજા સમયમાં ખેતી શક્ય નથી, જેના પરિણામે ખેડૂતોની આવક ઘટી છે. આ આર્થિક તંગી લોકોને શહેરો તરફ ધકેલી રહી છે.