27 જૂન, 2025ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો અને 18 ગજરાજ સામેલ થયા. જોકે, ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી હતી. બેહાથણીઓની મદદથી હાથીને કાબૂમાં લઈ જગન્નાથ મંદિર ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાના એક દિવસ બાદ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો, જેમાં મહાવત દ્વારા ગજરાજને ક્રૂર રીતે માર મારવામાં આવતો દેખાય છે. આ વીડિયો વાયરલ થતાં પ્રાણીપ્રેમીઓ અને નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્પષ્ટતા કરી કે હાથીને હાનિ પહોંચાડવાના આશય વિના, તેને સમજાવવાની રીતે માર મારવામાં આવ્યો હતો, અને વીડિયોમાં દેખાતો હાથી રથયાત્રાનો નથી. જોતિર્નાથ મહારાજે હાથી પર ક્રૂરતાનો આરોપ લગાવી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. લોકોમાં આ મામલે ભારે ચર્ચા છે, અને મંદિરના મહંત, ટ્રસ્ટીઓ કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થશે કે કેમ તેની રાહ જોવાઈ રહી છે. હાલ આ વીડિયોને લઈને સામાન્ય નાગરિકો અને પ્રાણીપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી રહી છે.