ઇઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના મંત્રીમંડળ વિરુદ્ધ નાગરિકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ, હમાસના હુમલાઓની તપાસમાં વિલંબ અને ગાઝામાં લશ્કરી કાર્યવાહીઓ અંગેનો અસંતોષ લાખો ઇઝરાયેલીઓને રસ્તાઓ પર ઉતરવા મજબૂર કરી રહ્યો છે. તેલ અવીવ, યરૂશલેમ અને હાઈફા જેવા શહેરોમાં વિરોધીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને નેતન્યાહુના રાજીનામાની માંગ કરી.
છેલ્લા કેટલાક મહિનાઓથી ઇઝરાયેલની જનતા નેતન્યાહુ સરકારની નીતિઓથી નારાજ છે. 7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલાની તપાસને ટાળવા માટે નેતન્યાહુ પર આરોપ લાગી રહ્યા છે, જેને જનતા રાષ્ટ્રીય સુરક્ષામાં નિષ્ફળતા ગણે છે. આ ઉપરાંત, ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલાઓએ તેલ અવીવ અને હાઈફામાં ભારે નુકસાન પહોંચાડ્યું, જેમાં 37 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. આ હુમલાઓએ ઇઝરાયેલની સંરક્ષણ પ્રણાલીની નબળાઈઓને ઉજાગર કરી, જેનાથી નાગરિકોનો ગુસ્સો વધુ ભડક્યો.
યરૂશલેમમાં નેતન્યાહુના નિવાસસ્થાન બહાર હજારો વિરોધીઓ એકઠા થયા, જેમણે "નેતન્યાહુ જેલ જાઓ" અને "રાજીનામું આપો" જેવા સૂત્રો લગાવ્યા. વિરોધીઓમાં બંધકોના સગાઓ પણ સામેલ હતા, જેઓ ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિ માટે સરકાર પર દબાણ બનાવી રહ્યા છે. તેલ અવીવમાં લગભગ બે લાખ લોકો રસ્તાઓ પર ઉતર્યા, જેને ઇઝરાયેલના ઈતિહાસમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંનું એક ગણવામાં આવે છે. કેટલાક વિરોધીઓએ સંસદ (નેસેટ)માં ઘૂસવાનો પ્રયાસ કર્યો, જે બાદ સુરક્ષાકર્મીઓ સાથે તેમની ઝડપ થઈ, જેમાં બે લોકો ઘાયલ થયા.
ઇઝરાયેલનો સૌથી મોટો દુશ્મન શેતન્યાહુ રોડ પર ઉતરેલા લોકો
વિપક્ષી નેતા યાયર લેપિડે વિરોધીઓનું સમર્થન કરતાં કહ્યું, "દેશ તેના ઈતિહાસના સૌથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. નેતન્યાહુની નીતિઓ આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે." બીજી તરફ, નેતન્યાહુએ આ પ્રદર્શનોને વિપક્ષ દ્વારા ઉશ્કેરાયેલા ગણાવ્યા અને કહ્યું કે તેમની સરકાર રાષ્ટ્રીય હિતમાં કામ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (આઈસીસી) દ્વારા નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે, જેનાથી જનતાનો ગુસ્સો વધુ ભડક્યો છે. વિરોધીઓ આને સરકારની નિષ્ફળતા તરીકે જુએ છે, જે ઇઝરાયેલની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડી રહી છે.
ઇઝરાયેલમાં વધતો આ જન આક્રોશ અને રસ્તાઓ પર ઉમટેલો જનસમુદાય એ સંકેત આપે છે કે નેતન્યાહુ સરકાર માટે પડકારો વધી રહ્યા છે. જો યુદ્ધ અને આંતરિક અસ્થિરતાનું સમાધાન નહીં થાય, તો આ સંકટ વધુ ગાઢ બની શકે છે.