આગામી તા. ૦૫/૦૯/૨૦૨૫ નાં રોજ ઇદ - એ - મિલાદનો તહેવાર ઉજવાનાર છે. આ તહેવારના દિવસે ભાવનગર શહેરમાં ચાવડીગેટ પાસે આવેલ મહંમદશા બાપુની વાડીએથી એક ઝુલુસ નીકળનાર છે. જે ભાવનગર શહેરના ચાવડી ગેટ, અલકા ગેટ, મતવા ચોક, સંઘેડીયા બજાર, શેલરશા ચોક, (આંબા ચોક,) હઝરત અબ્બાસ અ,સ, ચૌક હેરીસ રોડ, વોરા બજાર, રૂવાપરી ગેટ, બાર્ટન લાઇબ્રેરી, હાલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, ઘોઘા ગેટ, ગંગાજળીયા તળાવ, વાસણ ઘાટ, દરબારી કોઠાર થઈને શેલારશા પીરની દરગાહ પાસે આવી પૂરું થશે. આ ઝુલુસમાં ઘોડાગાડી, બગી, ઘોડા, ઉંટગાડી, રીક્ષાઓ, ટ્રક, મોટર વગેરે વાહનો મોટા પ્રમાણમાં જોડાનાર છે. જે વાહનોમાં ઝુલુસનાં માણસો અંદર બેસીને નીકળે છે. જેથી આ ઝુલુસ દરમ્યાન ભાવનગર શહેરમાં આવેલ રસ્તાઓ ઉપર ટ્રાફીક નિયમન કરવું જરૂરી હોય, જેથી આ રસ્તા ઉપર તા. ૦૫/૦૯/૨૦૨૫ નાં સવારનાં કલાક ૦૮-૦૦ થી બપોરનાં કલાક ૧૫-૦૦ સુધી રસ્તાઓ એકમાર્ગીય કરવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગર દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧) થી મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ભાવનગર શહેરનાં રસ્તાઓને તા. ૦૫/૦૯/૨૦૨૫ નાં સવારનાં ૦૮-૦૦ થી બપોરના ૧૫-૦૦ સુધી એકમાર્ગીય જાહેર કરેલ છે.
જેમાં ચાવડીગેટથી વડવા તલાવડી થઈ અલકા ગેટ ચોક સુધીનો રસ્તો, અલકા ચોક તરફથી વડવા તલાવડી થઈ ચાવડીગેટ તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધ, અલકા ચોકથી મતવા ચોક થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, શેલારશા ચોકથી મતવા ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી, મીની ગેસ્ટહાઉસથી શેલારશા ચોક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ, વાસણ ઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, વાસણ ઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા ચોક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, હેરીસરોડનાં નાકાથી આંબાચોક થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, હેરીસરોડ તરફથી શેલારશા ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી, ઘોઘાગેટથી હેરીસરોડનાં નાકા સુધીનો રસ્તો, ઘોઘાગેટથી હેરીસરોડ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ, બાર્ટન લાયબ્રેરી ચોકથી વોરા બજાર જસુભાઈ જવેલર્સવાળાની દુકાન સુધીનો રસ્તા તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધ, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડથી ધોધાગેટ ચોક સુધીનો રસ્તો, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડથી ધોધાગેટ ચોક તરફ આવતા વાહનો માટે પ્રવેશબંધ, હલુરીયા ચોકથી બાર્ટનચોક સુધીનો રસ્તો, હલુરીયાચોક તરફથી બાર્ટન ચોક તરફ આવતા તેમજ મામાકોઠા બાર્ટન ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે તેમજ જોગીવાડની ટાંકી બાર્ટનચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધ, ઘોઘાગેટ ચોકથી હાઈકોર્ટ રોડ થઈ હલુરીયાચોક તરફ આવતા, વાસણઘાટથી ગંગાજળીયા તળાવ, હેવમોર ચોક થઈ ઘોઘાગેટ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ કરવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયરબ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેનાં વાહનોને મુક્તિ આપવામાં આવે છે. જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.