ગાંધીનગરના ચરેડી ગામમાં તંત્ર દ્વારા હજારો ઝૂંપડા અને નાના મકાનો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે, સરકાર ગરીબોને ઘર આપવાને બદલે તેમના માથા પરથી છત છીનવી રહી છે.
ગઢવીએ આ ઘટનાને ષડયંત્ર ગણાવીને આરોપ લગાવ્યો કે, ચરેડીથી માત્ર બે કિલોમીટર દૂર રહેતા મુખ્યમંત્રી, જેઓ પોતે બિલ્ડર છે, તેમણે પોતાના બિલ્ડર મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાર્યવાહી કરી છે. તેમનું કહેવું છે કે હજારો કરોડની જમીન બિલ્ડરોને આપવા માટે 60 વર્ષ જૂના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા.
ગઢવીએ વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, જ્યાં સુધી રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી બુલડોઝર ચલાવી શકાય નહીં. છતાં, લોકો પાસે તમામ દસ્તાવેજો હોવા છતાં આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં એક આંગણવાડી પણ તોડી પાડવામાં આવી. આ ઘટનાને મીડિયામાં નજીવું કવરેજ મળ્યું, જેની ગઢવીએ ટીકા કરી.