Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 16 December 2025

"બુલડોઝરનો કારમો રોજ: અમદાવાદના કમલ તળાવમાં 150 મકાનો ધ્વસ્ત, મહિલાઓ-બાળકોની આંખોમાં આંસુનો પૂર !"

"બુલડોઝરનો કારમો રોજ: અમદાવાદના કમલ તળાવમાં 150 મકાનો ધ્વસ્ત, મહિલાઓ-બાળકોની આંખોમાં આંસુનો પૂર !"

અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં ITI રોડ પર આવેલા કમલ (ઉમલા) તળાવમાં ગેરકાયદે દબાણો હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મંગળવારે સવારથી બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દીધી. આ કાર્યવાહીમાં આશરે 150 જેટલા કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલેલી આ એક્શનથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને દુ:ખનો માહોલ છવાયો છે. 

આ તળાવની આસપાસ વર્ષોથી રહેતા પરિવારો માટે આ દિવસ આફતરૂપ બન્યો. પોતાની નજર સામે ઘર તૂટતા જોઈને મહિલાઓ રડી પડી, તેમની હાલત એટલી ખરાબ થઈ કે એક મહિલા તો બેભાન થઈ ગઈ. પુરુષો અને બાળકોની આંખોમાં પણ આંસુઓ છલકાયા. ઘરની સાથે તેમના સપના અને આશ્રય પણ ધૂળમાં મળી ગયા. 

AMCના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે આ તમામ દબાણકારોને અગાઉ નોટિસ આપી હતી. ખાલી ન કરવાથી કાનૂની કાર્યવાહી કરવામાં આવી. તંત્રનું કહેવું છે કે તળાવની જમીન પર ગેરકાયદે બાંધકામો થયા હતા, જેને હટાવીને તળાવનો વિકાસ કરવામાં આવશે. શહેરમાં તળાવોના કાયાકલ્પ માટે આવી કાર્યવાહીઓ ચાલુ છે. 

પરંતુ રહેવાસીઓની વેદના અલગ છે. તેઓ કહે છે, "અમે વર્ષોથી અહીં રહીએ છીએ. અમને વૈકલ્પિક વ્યવસ્થા કે મકાન આપવામાં આવે તો અમે જવા તૈયાર છીએ, પરંતુ અચાનક બેઘર કરી દેવામાં આવ્યા." એક નાની બાળકી મનસ્વીએ રડતાં-રડતાં કહ્યું, "મારા દાદા પેરેલાઇઝ્ડ છે, મમ્મીનું ઓપરેશન થયું છે. નોટિસ મળી ત્યારથી હું એક મહિનાથી સ્કૂલે ગઈ નથી. મારું ભણતર બગડી ગયું."

 આ ઘટના શહેરના વિકાસ અને રહેવાસીઓની માનવીય વેદના વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે. તંત્ર તળાવોને મુક્ત કરીને પર્યાવરણ અને જળસંગ્રહને મજબૂત બનાવવા માંગે છે, જ્યારે પરિવારો આશ્રય અને પુનર્વસનની માંગ કરે છે. આવી કાર્યવાહીઓમાં માનવીય અભિગમ અપનાવવો જરૂરી છે, જેથી વિકાસની સાથે કોઈનું જીવન ન તૂટે. 

(આ ઘટનાના દૃશ્યોમાં બુલડોઝર વચ્ચે રડતા પરિવારોની તસવીરો જોવા મળી રહી છે, જે હૃદયદ્રાવક છે.)
સજ્જાદ અલી નાયાણી✍