સજ્જાદ અલી નાયાણી ✍🏼 ફ્રાઈડે વર્લ્ડ 24/12/2025
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક જઘન્ય ગેંગરેપ કેસમાં વિશેષ અદાલતે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. મુખ્ય આરોપી મહંત સીતારામ દાસ ઉર્ફે સમર્થ ત્રિપાઠી સહિત પાંચ દોષિતોને ન્યાયાધીશ પદ્મા જાટવની કોર્ટે
આજીવન કેદ- (અંતિમ શ્વાસ સુધી જેલમાં)ની સજા ફટકારી છે. દરેક દોષિત પર 1 લાખ રૂપિયાનો દંડ પણ લાગ્યો છે.
ઘટનાની ભયાનક વિગતો- આ ચકચારી ઘટના 28 માર્ચ 2022ના રોજ બની હતી. રીવામાં ભાગવત કથાના આયોજન માટે આવેલા મહંત સીતારામ દાસે એક સગીરા છોકરીને કામના બહાને સર્કિટ હાઉસના રૂમમાં બોલાવી હતી. ત્યાં તેણે અને તેના સાથીઓએ છોકરીને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કર્યું હતું. પીડિતાએ અદ્ભુત હિંમત બતાવી ચાલતી કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટનો નિર્ણય અને દોષિતો વિશેષ POCSO કોર્ટે મહંત સીતારામ દાસ, વિનોદ પાંડે, ધીરેન્દ્ર મિશ્રા, અંશુલ મિશ્રા અને મોનુ પ્યાસીને દોષિત જાહેર કર્યા છે. આ પાંચેયને IPCની કલમ 376D (ગેંગરેપ), 376AB (સગીરા સાથે ગેંગરેપ), POCSO એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
જ્યારે પુરાવાના અભાવે સંજય ત્રિપાઠી, રવિશંકર શુક્લા, જાનવી દુબે અને તૌસીદ અંસારી નામના ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે.
પુરાવાઓની મજબૂતી પોલીસે આ કેસમાં 22 સાક્ષીઓના નિવેદન, 140થી વધુ દસ્તાવેજી પુરાવા, ડીએનએ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ જેવા ટેક્નિકલ પુરાવા રજૂ કર્યા હતા. આ બધા પુરાવાઓને આધારે કોર્ટે દોષિતોને સજા ફટકારી છે.
સમાજને કડક સંદેશ સરકારી પરિસરમાં એક કથિત ધર્મગુરુ દ્વારા આચરવામાં આવેલા આ અમાનવીય અપરાધના ચુકાદાએ સમગ્ર દેશમાં કડક સંદેશ આપ્યો છે. આ નિર્ણયથી સગીરાઓની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થશે. પીડિતાની હિંમત અને પોલીસ-પ્રશાસનના પ્રયાસોને પણ સલામ છે.
આ કેસ એક વખત ફરી યાદ અપાવે છે કે ધર્મના નામે કોઈ પણ અપરાધને બક્ષવામાં આવશે નહીં.
સજ્જાદ અલી નાયાણી ✍🏼
ફ્રાઈડે વર્લ્ડ 24/12/2025