મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી હોબાળાનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર અને સરકારનું રાજકારણ કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. હવે મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ પહેલા ધનંજય મુંડેની પહેલી પત્ની કરુણા મુંડેએ, એવો દાવો કર્યો હતો કે, તેઓ બજેટ સત્રની શરૂઆત પહેલા રાજીનામું આપી દેશે. જો કે સીએમ ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું.
બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં નામ જોડાવાને કારણે દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર ધનંજય મુંડેના રાજીનામા માટે દબાણ વધી રહ્યું હતું. ધનંજય મુંડેની નાદુરસ્ત તબિયતને કારણે તેમના પીએ પ્રશાંત જોશીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું સુપરત કર્યું છે.
ફોટો વાયરલ થયા બાદ થયો હોબાળો
આ રાજીનામું ત્યારે આપવામાં આવ્યું જ્યારે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. આ મામલે દેવગીરી સ્થિત ડેપ્યુટી સીએમ અજિત પવારના ઘરે મોડી રાત્રે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધનંજય મુંડે પણ હાજર હતા. આ દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે મુંડેએ મંત્રી પદ પરથી રાજીનામું આપવું.
સંતોષ દેશમુખ હત્યાનો મુખ્ય આરોપી વાલ્મિકી કરાડ, મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેનો નજીકનો હતો. ધનંજય મુંડે પોતે ઘણી વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે વાલ્મિકી કરાડ તેમની ખૂબ નજીકના વ્યક્તિ છે.
પત્નીએ રાજીનામાનો દાવો કર્યો
ધનંજય મુંડેની પત્ની કરુણા શર્મા મુંડેએ 2 માર્ચને રવિવારે દાવો કર્યો હતો કે, ધનંજય મુંડે બજેટ સત્ર પહેલા રાજીનામું આપી દેશે. કરુણા મુંડેએ એવુ પણ કહ્યું હતું કે, અજિત પવારે બે દિવસ પહેલા તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ધનંજય મુંડે રાજીનામું આપવા તૈયાર નથી, પરંતુ અજિત પવારે બળજબરીથી રાજીનામું લખાવી લીધું હતું.
ધનંજય મુંડેના રાજીનામા અંગે એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર તેમના રાજીનામાનું કારણ બીમારીને ગણાવશે. ધનંજય મુંડે બેલ્સ પાલ્સી નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેમને બોલવામાં સતત તકલીફ પડી રહી છે.
મુંડે અનેક વિવાદોમાં ફસાયેલા છે
NCP અજિત પવારના નજીકના વ્યક્તિ એવા ધનંજય મુંડે વર્તમાન સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હતા. તેમની સાથે અનેક વખત વિવાદ પણ જોડાયેલા છે. ધનંજય મુંડે નાનપણથી જ તેમના કાકા ગોપીનાથ મુંડે સાથે રાજકારણમાં આવ્યા હતા અને બીડ જિલ્લા, પરલી તાલુકાની દરેક ચૂંટણીમાં ગોપીનાથ મુંડે માટે પ્રચાર કરતા હતા.
ગોપીનાથ મુંડેના અવસાન પછી, ધનંજય મુંડેએ પોતાના માટે પરલી વિધાનસભા બેઠકનો દાવો કર્યો અને ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે સામે એનસીપી (યુનાઈટેડ) પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપમાંથી ઊભા રહેલા પંકજા મુંડેને હરાવ્યા. આ સિવાય મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે તેમના વૈવાહિક જીવન સાથે જોડાયેલી બાબતો સહિત અનેક વિવાદોમાં ફસાયા છે.
ધનંજય મુંડે પર કૃષિ વિભાગમાં રૂ. 73.36 કરોડની ઉચાપતનો પણ આરોપ લાગેલો છે, જે અંગે ભાજપના ધારાસભ્યે અજિત પવારને ફરિયાદ પણ કરી છે.
કરુણા શર્મા સાથે વિવાદ
ધનંજય મુંડેની પહેલી પત્ની હોવાનો દાવો કરનાર કરુણા શર્માએ 2020માં તેમની સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં બાંદ્રા ફેમિલી કોર્ટે ફેબ્રુઆરી 2025માં આદેશ આપ્યો હતો કે, ધનંજય મુંડેએ કરુણા શર્માને દર મહિને 1.25 લાખ રૂપિયા અને તેની પુત્રીને 75,000 રૂપિયા પ્રતિ માસ ભરણપોષણ ભથ્થું ચૂકવવું જોઈએ. ધનંજય મુંડેએ આ આદેશને પડકાર્યો હતો અને કહ્યું હતું કે તેણે કરુણા શર્મા સાથે ક્યારેય લગ્ન કર્યા નથી, તેથી ભથ્થાનો આદેશ અયોગ્ય છે.
સંતોષ દેશમુખ હત્યા કેસ
બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં ધનંજય મુંડેનું નામ પણ સામે આવ્યું છે. SIT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેના નજીકના સહયોગી વાલ્મિક કરાડને આ હત્યાનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો છે. આ એપિસોડ પછી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે NCP નેતૃત્વ પાસેથી ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરી હતી.