દેશ-દુનિયામાં જ્યારે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છના અંજારમાં એક 23 વર્ષીય યુવતીની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અંજારમાં 23 વર્ષીય પાયલ ઉત્તરમચંદાણી નામની યુવતીના પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે ગુપ્તાંગો સહિત શરીરના વિવિધ અંગોમાં વાર કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકવનારી વાત સામે આવી છે કે, યુવતીની હત્યા કરવા માટે પ્રેમીને યુવતીના સાવકાભાઈએ પણ મદદ કરી હતી. પોલીસે પ્રેમી સહિત બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અંજારના મેઘપર બોરીચીના પારસનગરમાં પરિવાર સાથે રહેતી 23 વર્ષીય પાયલ ઉત્તમચંદાણી (સિંધી) નામની યુવતીને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂરતાથી યુવતીને રહેંસી નાંખી હતી. હત્યારા પ્રેમીએ ક્રૂરતાની તમામ હદ વટાવતા યુવતીના ગુપ્ત ભાગ, ગળા, છાતી, પેટ, ડાબા હાથ સહિતના અંગોમાં છ થી સાત વખત વાર કર્યા હતા, જેથી યુવતીનું આખું ઘર લોહીલોહાણ થઈ ગયું હતું. શુક્રવારે (7 માર્ચ) બપોરે આ ઘટના બની હતી, જે રાત્રે આઠ વાગ્યે પ્રકાશમાં આવી ત્યાં સુધી યુવતી પોતાના જ ઘરમાં લોહીના ખોબોચિયામાં પડી હતી. સમગ્ર ઘટના સામે આવતાં મૃતક યુવતીના ભાઈ કરણ પ્રકાશ ઉત્તમચંદાણીએ અજાણ્યા શખસ સામે અંજાર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, યુવતીની હત્યા કરવા માટે યુવતીના સાવકાભાઈએ પ્રેમીનો સાથ આપ્યો હતો. બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
બપોરે ઘરમાં ઘૂસી કરી હત્યા
મૃતક પાયલ આદિપુરમાં ડૉ. સલાટની હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પાયલ તેના ભાઈ કરણ, માતા નિશાબહેન, નાનીમા ભોપીબહેન સાથે રહેતી હતી. કરણ ગાંધીધામની દુકાનમાં, પાયલ હોસ્પિટલમાં અને માતા તથા નાનીમા વૃદ્ધોના કેરટેકર તરીકે નોકરી કરે છે. ઘરના તમામ લોકો સવારના નવ દસ વાગ્યે નોકરી પર નીકળી જાય છે અને રાત્રે આઠ નવ વાગ્યે ઘરે પરત ફરે છે. મૃતક પાયલ સવારે દસ વાગ્યે નોકરી જતી અને બપોરે બે વાગ્યે ઘેર પરત ફરતી. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે નોકરી જતી અને રાત્રે નવ વાગ્યે ઘેર પરત ફરતી. શુક્રવારે બપોરે પાયલ ઘરે પરત આવી ત્યારબાદ તેના પ્રેમીએ તેની હત્યા કરી હતી. રાત્રે આઠ વાગ્યે માતા ઘરે પરત ફરી ત્યારે પાયલને લોહીલોહાણ હાલતમાં જોઈ ભાંગી પડી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
હત્યાનો બનાવ બહાર આવતાં જ અંજાર પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા યુવકને દબોચી લેવાયો છે. આ હત્યારો બીજું કોઈ નહીં પરંતુ પાયલનો પ્રેમી હતો. તે પાયલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ પાયલ લગ્ન કરવા ઈચ્છતી ન હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. જેનાથી ઉશ્કેરાઈને પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ અંજાર પી.આઈ એ.આર ગોહિલ આ કેસની વધુ તપાસ કરી રહ્યાં છે.