ઢાકા: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને કટ્ટરપંથી જૂથોના વધતા પ્રભાવ વચ્ચે દેવબંદી નેતા મુફ્તી હારુન ઇજ્જહારે એક વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચા જગાવી છે. તેમણે દાવો કર્યો છે કે ભારતીય હાઈકમિશન અને તેની શાખાઓની સુરક્ષા તેમના અનુયાયીઓ કરશે, સાથે જ હિન્દુઓ તેમજ તેમના મંદિરોનું પણ રક્ષણ તેઓ સંભાળશે.
આ નિવેદન તાજેતરમાં ચટ્ટગ્રામમાં ભારતીય સહાયક હાઈકમિશન પર પથ્થરમારાની ઘટના બાદ આવ્યું છે. આ ઘટનામાં ૧૨ લોકોની અટકાયત કરવામાં આવી હતી, અને હારુન ઇજ્જહાર પોતે પોલીસ સ્ટેશને જઈને તેમને છોડાવવા માગ કરી હતી. ત્યાં તેમણે કહ્યું કે, "ભારત આક્રમક અને આતંકવાદી દેશ છે, પરંતુ અહીંનું ભારતીય દૂતાવાસ નિર્દોષ સંસ્થા છે. તેનું રક્ષણ અમે કરીશું. કોઈ ટોળાને એકઠું થવા નહીં દઈએ."
હારુનનો આ દાવો છતાં તેમનો ભૂતકાળ વિરોધાભાસી છે. ૨૦૦૯માં તેમને લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ સાથે મળીને ભારતીય અને અમેરિકી દૂતાવાસો પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી. ૨૦૨૧માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન હિંસા ભડકાવવા બદલ તેમને અટક કરાયા હતા. ગુપ્તચર અહેવાલોમાં તેમને અલ-કાયદા અને LeT સાથે જોડાયેલા ગણવામાં આવે છે.
બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની અંતરિમ સરકાર હેઠળ કટ્ટરપંથીઓનો પ્રભાવ વધ્યો છે. તાજેતરમાં ભારત વિરોધી વિરોધ પ્રદર્શનો, અલ્પસંખ્યક હિન્દુઓ પર હુમલા અને મંદિરોના નુકસાનના સમાચાર આવી રહ્યા છે.
ભારતે આ મુદ્દે બાંગ્લાદેશી રાજદૂતને તાકીદ કરી છે કે અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. હારુન જેવા નેતાઓના નિવેદનો દેશમાં કટ્ટરપંથના વધતા દબદબાના સંકેત આપે છે, જે પ્રાદેશિક સ્થિરતા માટે ચિંતાનો વિષય છે.
સજ્જાદ અલી નાયાણી✍