જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી આખો દેશ ગુસ્સાની આગમાં ભભૂકી રહ્યો છે. દરેક વ્યક્તિ પાકિસ્તાનથી બદલો લેવાની વાત કરી રહ્યો છે. તમામ વિપક્ષી પક્ષો પણ સરકારની પડખે ઊભા છે અને કાર્યવાહીની માગ કરી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરે પહલગામ હુમલા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે શું પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના પાછળ દેશના ભાગલાના વણઉકેલાયેલા સવાલોનું પ્રતિબિંબિત દેખાય છે?
ઘણાં લોકો ગાંધી, નહેરુ, ઝીણા સાથે સહમત નહોતા
મણિશંકર અય્યરે આતંકી હુમલાના વિભાજનને વણઉકેલાયેલા સવાલોથી જોડતા કહ્યું કે, ભારતના લોકો આજે પણ વિભાજનના ડંખથી પીડાય રહ્યા છે. વિભાજન સમયે ઘણા લોકોના વિચારો ભારતીય રાષ્ટ્રીયતાને લઈને અલગ હતા. ઘણા લોકો ગાંધી, નેહરુ અને ઝીણાના વિચારો સાથે સહમત ન હતા. તેથી અંતે વિભાજન થયું.
શું પહલગામની ત્રાસદી એ જ ભાગલાના અધૂરા સવાલોનો પડછાયો નથી?
અય્યરે કહ્યું કે, 1947માં ભારતનું વિભાજન મૂલ્યો અને રાષ્ટ્રવાદના અલગ અલગ અર્થઘટનને કારણે થયું હતું અને આજે પણ આપણે તેના જ પરિણામો ભોગવી રહ્યા છીએ. શું પહલગામની ત્રાસદી એ જ ભાગલાના અધૂરા સવાલોનો પડછાયો નથી? જ્યારે આખો દેશ આતંકવાદ સામે એકતા બતાવી રહ્યો છે, ત્યારે શું ભાગલા વિશે વાત કરવી એ ઘા પર મીઠું ભભરાવવા જેવું નથી? આ સાથે જ તેમણે કહ્યું કે શું 22 એપ્રિલે પહલગામમાં બનેલી ભયાનક ત્રાસદીમાં ભાગલાના અધૂરા સવાલોની અધૂરી ઝલક ન દેખાઈ?
આજે પણ આપણે ભાગલાના પરિણામો ભોગવી રહ્યા છીએ
અય્યરે આગળ કહ્યું કે, તે સમયે ઘણા લોકોએ ભાગલાને રોકવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ ઊંડા મતભેદોને કારણે તે ક્યારેય ટાળી ન શકાયું. ભાગલા પડ્યા અને આજે પણ આપણે તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. શું આપણે તેને આ રીતે જ સ્વીકારી લેવું જોઈએ?
મણિશંકર અય્યરે કહ્યું કે, તે સમયે ભારત સામે એ જ સવાલ હતો કે લગભગ 10 કરોડ મુસ્લિમોનું શું કરવું. આજે પણ એ જ વાસ્તવિક સવાલ તેને પરેશાન કરી રહ્યો છે કે હવે લગભગ 20 કરોડ મુસ્લિમોનું શું કરવું જોઈએ? આપણે વિચારવું પડશે કે શું આપણે ઝીણાના મંતવ્યને સ્વીકારીએ છીએ અને કહીએ છીએ કે મુસ્લિમો માટે એક અલગ દેશ બની ચૂક્યો છે? શું આપણે મુસ્લિમોને આપણી વચ્ચે તોડફોડ કરનારા તરીકે કે સંભવિત ખતરા તરીકે જોઈ રહ્યા છીએ.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, 1971નું વિભાજન ત્યારે થયું જ્યારે પાકિસ્તાનની અડધાથી વધુ વસતી અને તેના પ્રદેશનો એક મહત્વપૂર્ણ ભાગ જાણી જોઈને એ આધાર પર તેનાથી દૂર ચાલ્યો ગયો કારણ કે મુસ્લિમ હોવું જ પૂરતું નથી અને બંગાળી હોવું પણ મહત્વપૂર્ણ છે.
તેમણે પૂછ્યું કે શું વર્તમાન ભારતમાં મુસલમાન એવું અનુભવે છે કે તેમનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે? શું તે એવું અનુભવે છે કે તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? શું મુસલમાન એવું અનુભવે છે કે તેમને પણ સન્માન આપવામાં આવી રહ્યું છે? આપણે આ સવાલોના જવાબો શોધવા પડશે. કોઈપણ મુસ્લિમને પૂછો તમને જવાબ મળી જશે.